16 July, 2025 06:55 AM IST | Jobner | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
આજે આપણા હાથમાં સ્માર્ટ ફોન છે, જેનાથી આપણે ઘણા પરિચિત થઈ ગયા છીએ. પરંતુ, સરકાર દ્વારા ઘરોમાં લગાવવામાં આવી રહેલા સ્માર્ટ વીજળી મીટર હજી પણ ઘણા લોકોનું જીવન હરામ કરી રહ્યા છે. આ વખતે આ કિસ્સો રાજસ્થાનના જોબનરથી સામે આવ્યો છે. અહીં અમીરુદ્દીન રંગરેઝને સ્માર્ટ મીટર બદલ્યા પછી બિલ મળતાં તે ચોંકી ગયો. ખરેખર ઘર લાંબા સમયથી બંધ હતું અને છતાં એક મહિનાનું વીજળી બિલ એક લાખ છવીસ હજાર રૂપિયા આવ્યું.
અમીરુદ્દીન રંગરેઝ જોબનરના સરાઈ મોહલ્લામાં રહે છે. થોડા સમય પહેલા તેમના વિસ્તારમાં વીજળીના મીટર પણ બદલવામાં આવ્યા હતા. જૂના મીટર દૂર કર્યા પછી, સરકાર દ્વારા સ્માર્ટ વીજળી મીટર લગાવવામાં આવ્યા હતા. તેણે જણાવ્યું કે તેનો પરિવાર જયપુરમાં રહે છે અને જોબનરમાં રહેલું ઘર ઘણા સમયથી ખાલી છે. આવી સ્થિતિમાં, જ્યારે એક મહિનાનું બિલ લાખો રૂપિયામાં આવ્યું, ત્યારે તેની ઊંઘ ઉડી ગઈ.
આ વિસ્તારના લોકો, જેમના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, તેઓ ચિંતિત છે. ઘણા લોકોને ચિંતા છે કે તેમના ઘરનું બિલ પણ લાખોમાં આવી શકે છે. અમીરુદ્દીને કહ્યું કે ઘરમાં એક પણ બલ્બ નથી. ફક્ત મીટરની લાઈટ ચાલુ હોવાથી આટલું બિલ આવ્યું છે, જો તેનો ઉપયોગ કરવામાં આવે તો કોણ જાણે શું થશે.. જો કે, આટલું બિલ આવ્યા બાદ ગ્રાહકે વીજળી વિભાગની ઑફિસમાં જઈને ફરિયાદ નોંધાવી છે.
આવા કિસ્સાઓ અગાઉ પણ પ્રકાશમાં આવ્યા છે. લાખોનું બિલ મળ્યા બાદ ગ્રાહકે ફરિયાદ નોંધાવી ત્યારે વીજળી નિગમના જુનિયર એન્જિનિયર હરલાલ બુરીએ કહ્યું કે આ કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે થયું હશે. અમે તેની તપાસ કરાવી રહ્યા છીએ. સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લૉકડાઉનના સમયમાં બન્યા હતા આવા કિસ્સા
ત્રણ મહિના જેટલા લૉકડાઉનના સમયમાં પાવર-સપ્લાય કરતી કંપનીઓ દ્વારા ચારથી પાંચગણાં બિલ મોકલાયાં હતા. સામાન્ય સંજોગોમાં જેમને મહિને ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયાનું વીજળીનું બિલ આવતું હતું તેમને તાજેતરમાં આ કંપનીઓએ પાવરનો વધારે ઉપયોગ કરવાનું કારણ આપીને મોટાં બિલ પકડાવી દેવાયાં હોવાનું જાણવા મળ્યું હતું. લૉકડાઉનમાં મોટા ભાગના લોકો ઘરમાં હતા તથા તેમણે અમુક ઉપકરણોનો વધારે ઉપયોગ કર્યો હોવાથી સામાન્ય કરતાં ડબલ બિલ આવે એની સામે લોકોને કોઈ વાંધો નથી, પણ બિલમાં કોઈ પણ જાતની સ્પષ્ટતા વિના વધારે બિલ મોકલવા સામે મોટા ભાગના લોકોએ વિરોધ કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે લોકો આ બાબતે પૂછપરછ કરતાં, તો તેમને ગળે ન ઊતરે એવા જવાબ આપવામાં આવતા હતા.