02 September, 2026 11:55 AM IST | Kathmandu | Gujarati Mid-day Correspondent
ઘર તણાયું, પરિવાર વિખેરાયો પણ વફાદારી ન ડગી નેપાલના પૂર પછી ઘરના ચોકમાં માલિકની રાહ જોતો અબોલ શ્વાન
નેપાલના ત્રિશુલી બજારમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરમાં ૪ ઘરનાં તણાઈને નામનિશાન મટી ગયાં હતાં. આ કુદરતી આફત વચ્ચે એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. કાળા અને સફેદ રંગનો એક પાલતુ શ્વાન પૂરની માટી અને કાટમાળ વચ્ચે પોતાના ઘરનો જ્યાં ચોક હતો ત્યાં જ બેસી રહ્યો છે અને એના માલિકોની રાહ જોઈ રહ્યો છે. આસપાસ ભારે JCB મશીનો અને રેસ્ક્યુ ટીમનો અવાજ હોવા છતાં આ શ્વાન ટસથી મસ થવા તૈયાર નથી.
રાહતકર્મીઓએ એને બિસ્કિટ આપીને અને અલગ-અલગ નામથી બોલાવીને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એણે કોઈ તરફ મોં પણ ન ફેરવ્યું. તે એના ઘરના મુખ્ય દરવાજાની જે સરહદ હતી ત્યાં જઈને વારંવાર બેસી જાય છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ‘અમે તો ઘર ગુમાવ્યાનું દુઃખ સમજી શકીએ છીએ, પણ આ અબોલ જીવ એ નથી સમજી શકતો કે એના માલિકો ક્યાં અદૃશ્ય થઈ ગયા. એને બસ એટલી ખબર છે કે જ્યાં સુધી પરિવાર પાછો ન આવે ત્યાં સુધી આ જગ્યા છોડીને જવાનું નથી.’
હાલ સ્થાનિકો અને પ્રાણીપ્રેમીઓ એના માટે દૂર પાણી અને ખાવાનું મૂકી આવે છે જે રસ્તો શાંત થાય ત્યારે જ થોડુંક આરોગે છે. શ્વાનની આ અદ્ભુત વફાદારી જોઈને સ્થાનિકોની આંખો પણ ભીની થઈ ગઈ છે.