28 August, 2026 02:56 PM IST | New York | Gujarati Mid-day Correspondent
અવકાશમાં પ્રયોગ માટે મોકલવામાં આવી ૩૩૦૦ રાણી મધમાખી
માણસો તો હવે અવકાશમાં જઈને પાછા આવતા થઈ ગયા છે, પરંતુ અન્ય જીવો અવકાશમાં કઈ રીતે સર્વાઇવ થાય છે એ વૈજ્ઞાનિકો માટે પ્રયોગનો વિષય છે. આ માટે અમેરિકાના નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)એ અવકાશમાં મધમાખીઓને મોકલવાનો પ્રયોગ કર્યો છે. જ્યાં ગુરુત્વાકર્ષણ વિના માણસ આમથી તેમ ફંગોળાતો રહે છે ત્યાં મધમાખીઓનું શું થયું હશે? NASAના વૈજ્ઞાનિકોએ નોંધ્યું હતું કે સ્પેસમાં પહોંચતાંની સાથે જ મધમાખીઓ કાચની પેટીની દીવાલો સાથે અહીં-તહીં ભટકાવા લાગી હતી. આઠ-દસ મધમાખીઓ પણ એક જગ્યાએ સ્થિર થઈને બેસી શકતી નહોતી. જોકે નવાઈની વાત એ હતી કે આ સ્થિતિ શરૂઆતના ૭ દિવસ જ રહી હતી. એ પછી ધીમે-ધીમે કાચની પેટીમાં મધમાખીઓમાં જાણે ઠહેરાવ આવી ગયો હોય એવું લાગવા લાગ્યું. એમના ભોજન માટે કાચની પેટીમાં શુગર, પાણી અને અગર-અગરનું મિશ્રણ ખોરાક માટે અંદર મૂક્યું હતું. મધમાખીઓએ પરિસ્થિતિને અનુકૂળ થવાનું શીખી લીધું હતું. જ્યારે આ મિશન પૂરું થયું અને મધમાખીઓને અવકાશમાંથી પાછી લાવવામાં આવી ત્યારે તેમણે ઑલરેડી મધપૂડો રચવાનું પણ શરૂ કરી દીધું હતું.