10 August, 2024 02:37 PM IST | Netherlands | Gujarati Mid-day Correspondent
નેધરલૅન્ડ્સમાં ૨૩ જેલને તાળાં લાગી ગયાં, હજી કેટલીક બંધ થઈ જશે
એક સમયે યુરોપમાં સૌથી વધુ ગુના આ દેશમાં થતા હતા, પણ ક્રાઇમ-રેટ ઘટી ગયો હોવાથી જેલની જરૂર ઓછી થઈ ગઈ છે. ભારત સહિતના મોટા ભાગના દેશોની જેલોમાં કેદીઓનો વધારો થઈ રહ્યો છે. કેદીઓને પૂરવા માટે નવી જેલ ઊભી કરવી પડે એવી સ્થિતિ છે, જ્યારે નેધરલૅન્ડ્સમાં ૧૦ વર્ષમાં ૨૩ જેટલી જેલો બંધ કરી દેવી પડી છે અને આ વર્ષ સુધીમાં આવતા વર્ષે બીજી કેટલીક જેલોને પણ તાળાં લાગી જશે. એક ખાલી જેલને ઍમ્સ્ટરડૅમના દક્ષિણમાં એક ભવ્ય હોટેલ બનાવી દેવામાં આવી છે. અહીં ધ લૉયર, ધ જજ, ધ ગવર્નર અને ધ જેલર એમ ૪ મોંઘાદાટ સ્વીટ પણ રાખવામાં આવ્યા છે. મજાની વાત એ છે કે એક સમયે યુરોપમાં સૌથી વધુ ગુનાખોરી નેધરલૅન્ડ્સમાં જ થતી હતી, પરંતુ અત્યારે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. નેધરલૅન્ડ્સમાં અત્યારે દર લાખની વસ્તીએ ૫૪.૪ના દરે ગુનાખોરી છે. કાયદા મંત્રાલયના WODC રિસર્ચ અને ડૉક્યુમેન્ટેશન સેન્ટરના કહેવા પ્રમાણે ૨૦૦૮માં ૪૨,૦૦૦ લોકોને જેલની સજા થઈ હતી. એમાં ઘટાડો થતાં ૨૦૧૮માં ૩૧ હજારે અટકી છે. યુવાન ગુનેગારોને જેલમાં ગાળવાના સમયમાં બેતૃતીયાંશ જેટલો ઘટાડો આવ્યો છે. આ જ સમયગાળામાં નોંધાયેલા ગુનાઓમાં ૪૦ ટકા ઘટાડો થયો છે.