04 April, 2026 03:06 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
મચ્છરોથી પરેશાન લોકોએ મચ્છર ચાલીસા ગાઈને વિરોધ કર્યો
ઉત્તર પ્રદેશના કાનપુરમાં મચ્છરોથી ત્રસ્ત લોકોએ વિરોધ-પ્રદર્શન માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો. કેટલાક લોકોએ ભેગા થઈને રોડ પર બેસીને મચ્છર ચાલીસાનો પાઠ કર્યો હતો. સ્થાનિક લોકોના કહેવા મુજબ કાનપુરમાં સૂરજ ઢળતાં જ મચ્છરોનો રાફડો ફાટી નીકળે છે. એ એટલા આક્રમક હોય છે કે ઘરની બહાર કદમ રાખવાનું મુશ્કેલ થઈ જાય છે. ઘરમાં પણ જો બારીઓ ખુલ્લી રહી જાય તો ખાતી વખતે મચ્છર મોંમાં ઘૂસી જાય છે. વારંવાર ફરિયાદ કરવા છતાં મ્યુનિસિપાલિટીએ કોઈ પગલાં જ લીધાં નહીં. મચ્છર મારવાની દવા છાંટવામાં પણ અનિયમિતતા હોવાથી મચ્છર વધી રહ્યા હતા. આસપાસના નાળાની પણ સફાઈ ન થતી હોવાથી મચ્છરો પર નિયંત્રણ થઈ નહોતું રહ્યું. આખરે લોકોએ ભેગા મળીને એક મચ્છર ચાલીસા લખી અને બધાએ ભેગા મળીને આ ચાલીસાનું પઠન કરીને અનોખો વિરોધ કર્યો હતો.