T20 World Cup 2026: IND vs USA મૅચ પહેલા હેડ કોચ ગૌતમ ગંભીરે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા

05 February, 2026 08:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IND vs USA ગ્રુપ સ્ટેજ મૅચ પહેલા, કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ડાબા હાથના બૅટર અને જમણા હાથના ઑફ-સ્પિન બૉલર, વૉશિંગ્ટન સુંદર વિશે અપડેટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે ટીમે તેની સાથે વાત કરી છે અને તે સ્વસ્થ થવાની નજીક છે.

ગૌતમ ગંભીરે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા

ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ગુરુવાર, 5 ફેબ્રુઆરીના રોજ દાદરના શ્રી સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લઈને ભગવાન ગણેશના આશીર્વાદ લીધા હતા. T20 વર્લ્ડ કપ 2026 શનિવારથી શરૂ થવા જઈ રહ્યો છે, જે પહેલા ગંભીરે આ મુલાકાત લીધી હતી. ગંભીર સાથે સાથે ટીમ ઇન્ડિયાના બૅટિંગ કોચ સિતાંશુ હરગોવિંદભાઈ કોટક પણ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા. ભારત બે દિવસમાં ICC T20 વર્લ્ડ કપ 2026 નું પોતાનું અભિયાન શરૂ કરશે. મેન ઇન બ્લુ ટીમ 7 ફેબ્રુઆરી, શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગ્રુપ સ્ટેજ મૅચમાં અમેરિકાની ટીમ સામે ટકરાશે. IND vs USA મૅચ સાંજે ૭ વાગ્યે શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયા આ વર્ષે ટાઇટલ જીતવાના સૌથી મજબૂત દાવેદારોમાંની એક છે. જો ભારત જીતશે, તો તેઓ સતત બે T20 વર્લ્ડ કપ જીતનારી પહેલી ક્રિકેટ ટીમ બનશે. તાજેતરમાં જ, ટીમ ઇન્ડિયાએ 31 જાન્યુઆરીના રોજ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં IND Vs NZ છેલ્લી T20I દરમિયાન દ્વિપક્ષીય T20I સિરીઝમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો હતો. આ અગાઉ, ગંભીરે ન્યુઝીલૅન્ડ સામેની પાંચ મૅચની સિરીઝની ત્રીજી T20I પહેલા ગુવાહાટીના કામાખ્યા મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ, 29 જાન્યુઆરીના રોજ, ત્રીજી રમત પૂર્ણ કર્યા પછી, મુખ્ય કોચ, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સાથે, ચોથી T20I પહેલા વિશાખાપટ્ટનમના સિંહાચલમમાં શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ મંદિરની પણ મુલાકાત લીધી હતી.

વૉશિંગ્ટન સુંદર ઈજા અપડેટ

IND vs USA ગ્રુપ સ્ટેજ મૅચ પહેલા, કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ડાબા હાથના બૅટર અને જમણા હાથના ઑફ-સ્પિન બૉલર, વૉશિંગ્ટન સુંદર વિશે અપડેટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે ટીમે તેની સાથે વાત કરી છે અને તે સ્વસ્થ થવાની નજીક છે. "અમે વૉશિંગ્ટન સાથે ધીરજ રાખીશું, બદલીઓ સાથે ઉતાવળ કરવા માગતા નથી. અમે તેની સાથે 100 ટકા રહીશું. અમે તેની સાથે વાત કરી, અને તે રિકવરીની નજીક આવી રહ્યા છે," સૂર્યકુમાર યાદવે તેની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

ભારતે સાઉથ આફ્રિકા સામેની T20 વૉર્મઅપ મૅચ ૩૦ રનથી જીતી લીધી

T20 વર્લ્ડ કપ પહેલાં ગઈ કાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઈ કાલે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી વૉર્મઅપ મૅચમાં ટીમ ઇન્ડિયાએ ૩૦ રનથી દમદાર જીત નોંધાવી હતી. ભારતે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૪૦ રન કર્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૧૦ રન કરી શક્યું હતું. ભારત વતી ઈશાન કિશન (૨૦ બૉલમાં ૫૩, ૭ સિક્સ અને બે ફોર), તિલક વર્મા (૧૯ બૉલમાં ૪૫, ત્રણ સિક્સ અને ત્રણ ફોર), હાર્દિક પંડ્યા (૧૦ બૉલમાં ૩૦, ૩ સિક્સ અને બે ફોર) દ્વારા જોરદાર ફટકાબાજી થઈ હતી.

gautam gambhir siddhivinayak temple t20 world cup indian cricket team united states of america