21 February, 2025 07:00 AM IST | Dubai | Gujarati Mid-day Online Correspondent
રોહિત શર્માએ કૅચ છોડ્યા બાદ પોતાનો ગુસ્સો ક્રિકેટના મેદાન પર ઉતાર્યો હતો (તસવીર: સોશિયલ મીડિયા)
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની આજે બીજી મૅચ દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૅચ શરૂ છે. આ દરમિયાન ભારતના સુકાની રોહિત શર્માના હાથમાંથી કૅચ છૂટી ગયો હતો. આ ઘટનાનો હવે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના બૉલરોએ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની આજની મૅચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું, જેમાં મોહમ્મદ શમી અને બાકીના ખેલાડીઓએ નજમુલ હસન શાંતોની ટીમને નવ ઓવરમાં જ 5 ખેલાડીઓને આઉટ કરી દીધી હતા. બાંગ્લાદેશની બૅટિંગ લાઇન-અપ તાશના પત્તાની જેમ પડી ગઈ હતી. ભારતના મોહમ્મદ શમીએ પહેલી ઓવરમાં જ વિકેટ લીધી હતી અને તે પછી ત્રીજી ઓવરમાં હર્ષિત રાણાએ એક વિકેટ લીધી હતી. ત્યારબાદ શમીએ મેહદી હસન મિરાઝની વિકેટ લીધી, પછી નવમી ઓવરમાં અક્ષર પટેલે પોતાનો જાદુ વિખેરયો હતો.
ડાબા હાથના સ્પિનર અક્ષર પટેલે તેના સ્પેલની પહેલી અને ઇનિંગ્સની નવમી ઓવરના બીજા બૉલમાં તન્ઝીદ હસનની વિકેટ લીધી હતી. તે બાદ બીજા બૉલ પર, મુશફિકુર રહીમ પણ કૅચ આઉટ થયો હતો. તણાવ વધતાં અક્ષર હૅટ્રિક પર હતો. જોકે તેની હૅટ્રિક મિસ થઈ ગઈ. કારણ કે અક્ષરે જ્યારે જાકર અલીને બૉલ નાખ્યો ત્યારે તેનો કૅચ ફર્સ્ટ સ્લિપમાં ઉભેલા રોહિત શર્મા તરફ ગયો, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટને કૅચ છોડી દીધો. આ કૅચ છૂટી જતાં રોહિત પોતા પર પણ ખૂબ જ ગુસ્સે થયો અને હતાશામાં તે જમીન પર હાથ મારતો કૅમેરામાં કેદ થયો હતો. રોહિતનો આ વીડિયો હવે ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત સામે આઈસીસી મૅન્સ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની બીજી મૅચમાં બાંગ્લાદેશના કૅપ્ટન નજમુલ હુસૈન શાંતોએ ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો. બાંગ્લાદેશ અને ભારત ગ્રુપ Aમાં પાકિસ્તાન અને ન્યુઝીલૅન્ડ સાથે છે. આ મૅચ પછી, બન્ને ટીમો ચાલુ માર્કી ઇવેન્ટમાં આગામી બે મૅચમાં પાકિસ્તાન અને ન્યુઝીલૅન્ડનો સામનો કરશે.
ભારત ટૉસ હારી જતાં રોહિતે કહ્યું કે ટીમ દુબઈમાં પહેલા ફિલ્ડિંગ કરવા માગે છે. બે વખતના ચેમ્પિયનોએ પાવરપ્લેમાં માત્ર 39 રનમાં બાંગ્લાદેશને પાંચમાં વિકેટ લીધી હતી. ટૉસ જીત્યા બાદ બાંગ્લાદેશના સુકાની શાંતોએ કહ્યું, "અમે પહેલા બૅટિંગ કરવા માગીએ છીએ. સારી વિકેટ લાગે છે તેથી અમે બોર્ડ પર રન બનાવવા માગીએ છીએ. અમે આજે સારી ક્રિકેટ રમી છે અને છોકરાઓ આત્મવિશ્વાસ ધરાવે છે. અમારા ત્રણ સ્પિનરો, બે સ્પિનરો સારું પ્રદર્શન કરશે," શાંતોએ ટૉસ જીત્યા બાદ કહ્યું હતું. ભારતની હવે 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સાથે મૅચ છે.