મુમતાઝ બેગમ: જેલમાંથી મહેલમાં, મહેલમાંથી વિલાયત જતી સ્ટીમરમાં

10 May, 2025 12:38 PM IST  |  Mumbai | Deepak Mehta

સાક્ષીના પિંજરામાં ઊભેલી મુમતાઝ બેગમ તરફ ફરીને : તમને મા-દીકરીને પેલી જેલમાંથી ક્યારે બહાર કાઢવામાં આવિયાં?

મુમતાઝ બેગમ અને તેની મા જેલમાં : ChatGPT દ્વારા તૈયાર થયેલું ચિત્ર

બૉમ્બે હાઈ કોર્ટમાં બાવલા ખૂન કેસની સુનાવણીનો વધુ એક દિવસ ઍડ્વોકેટ જનરલ કાંગા : યૉર ઓનર! આપની ઇજાજત હોય તો ગઈ કાલે અધૂરી રહેલી મુમતાઝ બેગમની જુબાની આગળ ચલાવીએ.

જસ્ટિસ એલ. સી. ક્રમ્પ : You may proceed, Mr. Kanga.

ઍડ્વોકેટ જનરલ કાંગા: Thank you, your honor!

પછી સાક્ષીના પિંજરામાં ઊભેલી મુમતાઝ બેગમ તરફ ફરીને : તમને મા-દીકરીને પેલી જેલમાંથી ક્યારે બહાર કાઢવામાં આવિયાં?

મુમતાઝ:  બીજે દિવસે સવારે. મારી માને ચોકીદારો અમારે ઘરે મૂકી આવ્યા અને મને નામદાર મહારાજા સામે ઊભી કરી. એ વખતે હું થર-થર કાંપતી હતી. મહારાજાએ મને કહ્યું કે તારે જરાય બીવાની જરૂર નથી. આજથી તારે મારા રણવાસમાં મારી રખાત તરીકે રહેવાનું છે. તું જો મને ખુશ રાખીશ તો રખાતમાંથી રાણી બનાવીશ. અને હા, આજથી તારું નામ મુમતાઝ નહીં પણ કમલાબાઈ રહેશે. અને હું મહેલમાં રહેતી. મારી આજુબાજુ સતત ચોકીપહેરો રહેતો. મારી મા બી મને મળવા આવી શકતી નહીં. મહારાજા સાથે આ રીતે મેં નવ વર્ષ ગાળ્યાં. હું તેમને અવારનવાર કહેતી કે મને એક વાર મારી દાદીને મળવા અમ્રિતસર જવા દો. દર વખતે જવાબમાં ના. પણ એક વખત તેમના દિલમાં રહેમ જાગી હશે કે શું, મને થોડા દિવસ માટે અમ્રિતસર જવાની પરવાનગી મળી. અને હું મારાં દાદીને મળવા અમ્રિતસર પહોંચી. અલબત્ત, શંકરરાવ સાથે હતા. ત્યાં હું અમ્મા અને દાદીને મળી.

એસ. એસ. પીલ્સના

ઍડ્વોકેટ જનરલ કાંગા : તમે ત્રણે ઘણે વખતે મળ્યાં હશો, નહીં?

બચાવ પક્ષના વકીલ બૅરિસ્ટર જે. એન. સેનગુપ્તા : My Lordship! મને એ સમજાતું નથી કે ઍડ્વોકેટ જનરલ કાંગા કોર્ટમાં કેસ ચલાવી રહ્યા છે કે એક નૉવેલ લખવા માટેનો મસાલો ભેગો કરી રહ્યા છે? આવી કૌટુંબિક વાતોમાં કોર્ટનો સમય બરબાદ કરવાને બદલે તેઓ સીધા મૂળ વાત પર આવે એવો આદેશ આપવા આપ નામદારને અરજ ગુજારું છું.

જસ્ટિસ એલ. સી. ક્રમ્પ : Objection sustained. Mr. Kanga, please come to the point.

ઍડ્વોકેટ જનરલ કાંગા : કમલાબાઈ ઉર્ફે મુમતાઝ! બીજી બધી વાતો જવા દઈને એ બતાવો કે તમે મુંબઈ ક્યારે અને કઈ રીતે આવિયાં?

અમ્રિતસર સ્ટેશનથી ઊપડતી મુંબઈની ટ્રેન 

મુમતાઝ બેગમ : હોલકર કુટુંબ મૂળ મહારાષ્ટ્રનું. એટલે વારતહેવારે મુંબઈ, પુણે, વગેરે જગ્યાએ જવાનું થાય. ૧૯૧૯માં હોળીનો તહેવાર ધામધૂમથી ઇન્દોરમાં ઊજવ્યા પછી આખું હોલકર કુટુંબ મુંબઈ જવા ઊપડ્યું. મને, મારી માને અને બીજા કેટલાક રિશ્તેદારોને પણ મહારાજે સાથે લીધાં. અમારા રહેવા માટે નેપિયન સી રોડ પર ‘હુસેની બંગલો’ ભાડે રાખ્યો. બંગલાની બહાર ચોવીસ કલાક ચોકીપહેરો ગોઠવ્યો હતો. શાહી કુટુંબ તાજ મહલ હોટેલમાં ઊતર્યું હતું. એક દિવસ મહારાજા તેમની સાથે મને ચોપાટી ફરવા લઈ ગયા. એ દિવસે મહારાજ ખૂબ આનંદમાં હતા. બીજે દિવસે બપોરે અમે આરામ કરતાં હતાં એ વખતે ખુદ મહારાજાસાહેબ અમારે ઉતારે પધાર્યા. થોડી અડીઅવળી વાતો કર્યા પછી તેમણે મારી અમ્માને કહ્યું : ‘મારી ખ્વાહીશ છે કે મુમતાઝ પહેલાં હિન્દુ ધર્મ અંગીકાર કરે અને પછી મારી સાથે લગ્ન કરે.’ મેં અને અમ્માજાને આ માટે ઘસીને ના પાડી દીધી. અમ્માજાને કહ્યું કે અમે ઇન્દોર દરબાર કાયમ માટે છોડવા તૈયાર છીએ પણ અમારો મજહબ છોડવા તૈયાર નથી. મહારાજે અમને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ અમે બન્ને અમારી વાત પર અડીખમ રહ્યાં. મહારાજ નિરાશ થઈને ગયા.

બીજે દિવસે મહારાજે સંદેશો મોકલ્યો કે સાંજે સાત વાગ્યે પિક્ચર જોવા મુમતાઝે મારી સાથે આવવાનું છે, પણ પુરુષનાં કપડાં પહેરીને. શંકરરાવ તેડવા-મૂકવા આવશે. અને હા, મુમતાઝે એકલા જ આવવાનું છે, અમ્માજાનને સાથે લાવવાનાં નથી. અમને થયું કે અમે મહારાજને નાખુશ કર્યા છતાં એ વાત ભૂલી જઈને નોતરું મોકલે છે તો પિક્ચર જોવા જવું જોઈએ. બરાબર સાંજે સાત વાગ્યે શંકરરાવ આવ્યા. હું તૈયાર જ હતી. શંકરરાવે અમ્માને કહ્યું કે તમે ફિકર કરતા નહીં, બે કલાક પછી હું મુમતાઝને ઘરે મૂકી જઈશ. હું અને શંકરરાવ મોટરમાં બેઠાં. બીજા બે નોકર પણ ગાડીમાં બેઠા હતા. ઘરઘરાટ કરતી મોટર ઊપડી. થોડે આગળ ગયા પછી થિયેટર તરફ જવાને બદલે ડ્રાઇવરે બોરી બંદર સ્ટેશન જવાનો રસ્તો પકડ્યો. હું ચોંકી. પૂછ્યું તો શંકરરાવ કહે કે ઇન્દોરમાં તારી દાદી માંદી છે એટલે તને ત્યાં લઈ જવાની છે. મેં પૂછ્યું : પણ તો અમ્માજાનને સાથે કેમ નથી લીધાં? જવાબ મળ્યો : તેઓ પછીથી આવશે. પહેલાં તું પહોંચી જા. અમારી વચ્ચે આ વાત ચાલતી હતી ત્યાં જ સીટી વાગી અને અમારી ટ્રેન ઊપડી. ફર્સ્ટ ક્લાસના ડબામાં બધી સગવડ હતી પણ રાતભર હું જાગતી રહી. હવે શું થશે એ વિચારો આવ્યા કરતા હતા.

બેલાર્ડ પિયરથી ઊપડતી સ્ટીમર

હું ઘરે પાછી ન ફરી એટલે અમ્મા તો રોઈ-રોઈને અડધી થઈ ગઈ હશે. તેને મળવા તો છેક બીજે દિવસે સવારે શંકરરાવ ગયા અને મહારાજાના હુકમથી મને ઇન્દોર મોકલી છે એ સમાચાર આપ્યા. અમ્માના ગુસ્સાનો પાર નહોતો. થોડી વાર સાંભળ્યા પછી શંકરરાવ હળવેકથી ત્યાંથી નીકળી ગયા.

ઍડ્વોકેટ જનરલ કાંગા : તમને શોધવા માટે અમ્માજાને કશું ન કર્યું?

મુમતાઝ બેગમ : અમ્મા પાસે ફક્ત પચાસેક રૂપિયા હતા. પહોંચ્યાં સીધાં એસ્પ્લેનેડ કોર્ટમાં. ત્યાં મિસ્ટર વિજયકર નામના વકીલને બધી વાત માંડીને કરી. તેમણે બૉમ્બેના પોલીસ-કમિશનરને આપવા માટેની એક અરજી તૈયાર કરી આપી. એ લઈને પહોંચ્યાં ક્રૉફર્ડ માર્કેટ પાસેની પોલીસ કમિશનરની ઑફિસે. અરજીમાં જણાવ્યું હતું કે શંકરરાવ બાપુજી ગાવડે અને ઇન્દોરના મહારાજાએ કાવતરું ઘડીને મારી સગીર વયની દીકરી મુમતાઝ બેગમનું અપહરણ કર્યું છે. મને જાણ પણ કર્યા વગર એ બન્ને મારી દીકરીને બ્રિટિશ સલ્તનતની હદ બહાર ઇન્દોરના દેશી રાજ્યના તાબામાં આવેલા મુલકમાં લઈ ગયા છે. એટલે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૬૦ અને ૩૬૧ પ્રમાણે ગુનો બને છે. તેથી મારી દીકરીની ભાળ મેળવવા આપને અરજી કરું છું. અરજી આપવા મારાં અમ્મા ખુદ પોલીસ કમિશનરને રૂબરૂ મળ્યાં. તેમણે મદદ કરવાની ખાતરી આપી. અને બોરી બંદર સ્ટેશનના ઇન્સ્પેક્ટર રઘુનાથરાવને અરજી મોકલી આપી. તેમણે અરજી તો લીધી, પણ સાથોસાથ કહ્યું કે તમારી દીકરી સગીર વયની છે એ પુરવાર કરવા માટે તેનું બર્થ સર્ટીફિકેટ રજૂ કરવું પડશે. સાહેબ! મારા જેવી છોકરીઓની જનમતારીખ ખુદ માને પણ યાદ ન હોય ત્યાં બર્થ સર્ટિફિકેટ તો હોય જ ક્યાંથી? એટલે બોરી બંદર સ્ટેશન પોલીસે તપાસ અટકાવી દીધી.

ઍડ્વોકેટ જનરલ કાંગા : તમે ઇન્દોર પહોંચ્યાં પછી સું થિયું?

હું ઇન્દોર પહોંચી કે તરત મને દાદીના ઘરે લઈ ગયા. બીજા જ દિવસે મહારાજા પણ ઇન્દોર પાછા આવ્યા. થોડા દિવસ પછી મને ખબર પડી કે મારી માએ મુંબઈ પોલીસને ફરિયાદ કરેલી એને કારણે પોલીસે શંકરરાવની અટક કરી હતી. પણ પછી દસ હજાર રૂપિયાના હાથ મુચરકા પર તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. એટલે શંકરરાવ પણ હવે ઇન્દોર આવી ગયા હતા. બે-ત્રણ દિવસ પછી શંકરરાવ અને તેમની સાથે બીજો એક દરબારી મારે ત્યાં આવ્યા અને મને રાજમહેલ લઈ ગયા. ત્યાં એક અલગ મકાનમાં મને રાખી. અંદર-બહાર બધે સખત જાપ્તો હતો અને કોઈ મને મળવા આવી શકતું નહીં. એક-બે દિવસ પછી અંગ્રેજીમાં લખેલો એક કાગળ મારી સામે ધરવામાં આવ્યો અને એના પર સહી કરવા કહ્યું. મેં કહ્યું કે કાગળમાં શું લખ્યું છે એ જાણ્યા વગર હું સહી નહીં કરું. પહેલાં તો આનાકાની કરી, પણ પછી કહ્યું કે કાગળમાં લખ્યું છે કે શંકરરાવ સાથે હું રાજીખુશીથી મુંબઈથી ઇન્દોર આવી છું અને તેઓ મને ભગાડીને અહીં લાવ્યા નથી. મારી તેમના વિરુદ્ધ કોઈ રાવ-ફરિયાદ નથી. આ કાગળ પર સહી કરી આપ્યા પછી મહારાજ અવારનવાર મને મળવા આવતા અને હું તેમની ત્રીજી રાણી હોઉં એ રીતે મારી સાથે સૂતા હતા.

થોડા વખત પછી ૧૮ એપ્રિલ, ૧૯૨૧ના દિવસે બીજી મહારાણી સાથે મહારાજ વિલાયત ગયા. પહેલી મહારાણી અને હું પહેલી મેના દિવસે એસ. એસ. પીલ્સના નામની સ્ટીમરમાં વિલાયત જવા નીકળ્યાં. શંકરરાવ અને તેની વહુ પણ અમારી સાથે હતાં. પાસપોર્ટમાં મારું નામ કમલાબાઈ હતું અને પાસપોર્ટ મારી પાસેથી લઈ લેવામાં આવેલો. એ વખતે પણ મને ધાકધમકી આપી હતી કે કોઈ પૂછે તો મારે કહેવું કે હું મારી પોતાની મરજીથી વિલાયત જઈ રહી છું.

એક બાજુ વિલાયત જતી આગબોટનું ભૂંગળું વાગ્યું અને બીજી બાજુ બૉમ્બે હાઈ કોર્ટની ઘડિયાળમાં સાંજના પાંચના ડંકા વાગ્યા. એ દિવસ પૂરતી મુમતાઝ બેગમ ઉર્ફે કમલાબાઈની જુબાની પૂરી થઈ.

bombay high court crime news mumbai crime news mumbai police history news mumbai columnists gujarati mid-day deepak mehta murder case