મુંબઈની મુલાકાત લેનારા બ્રિટિશ રાજવી કુટુંબના પહેલવહેલા નબીરાએ મુંબઈમાં શું-શું જોયું?

06 December, 2025 11:45 AM IST  |  Mumbai | Deepak Mehta

મારી, તમારી, આપણા સૌની માનીતી મુંબઈ નગરીનો સૌથી જાણીતો ફુવારો કયો એવો કોઈ સવાલ પૂછે તો એનો જવાબ એક જ હોઈ શકે : ફ્લોરા ફાઉન્ટન. પણ કોટ વિસ્તારમાં, આ ફ્લોરા ફાઉન્ટનથી બહુ દૂર નહીં એવો બીજો એક ફુવારો પણ આવેલો છે જે બહુ ઓછો જાણીતો છે.

ફ્લોરા ફાઉન્ટન નજીક ઊભો કરેલો કામચલાઉ વેલકમ ગેટ, વેલિંગ્ટન ફાઉન્ટન

મારી, તમારી, આપણા સૌની માનીતી મુંબઈ નગરીનો સૌથી જાણીતો ફુવારો કયો એવો કોઈ સવાલ પૂછે તો એનો જવાબ એક જ હોઈ શકે : ફ્લોરા ફાઉન્ટન. પણ કોટ વિસ્તારમાં, આ ફ્લોરા ફાઉન્ટનથી બહુ દૂર નહીં એવો બીજો એક ફુવારો પણ આવેલો છે જે બહુ ઓછો જાણીતો છે. એનું નામ છે વેલિંગ્ટન ફાઉન્ટન. એટલું જ નહીં, એ ફુવારાની આસપાસનો વિસ્તાર પણ વેલિંગ્ટન સર્કલ તરીકે ઓળખાતો. આઝાદી પછી એ સર્કલનું નામ બદલીને રખાયું છે શ્યામા પ્રસાદ મુખરજી ચોક. પણ શું જૂનું નામ કે શું નવું નામ, બેમાંથી એક્કે ક્યારેય મુંબઈગરાની જીભે વસ્યું નથી. આ ફુવારો ૧૮૬૫માં બંધાયો હતો આર્થર વેલેસ્લી, ફર્સ્ટ ડ્યુક ઑફ વેલિંગ્ટનના માનમાં. તેમનો જન્મ ૧૭૬૯ના મે મહિનાની પહેલી તારીખે. અવસાન ૧૮૫૨ના સપ્ટેમ્બરની ૧૪મી તારીખે. ૧૭૯૭થી ૧૮૦૫ સુધી તેઓ હિન્દુસ્તાનમાં હતા. અંગ્રેજો અને મૈસૂર રાજ્ય વચ્ચેના યુદ્ધમાં ૧૭૯૯માં ટીપુ સુલતાનને હરાવવામાં તેમનો મોટો ફાળો. બીજા મરાઠા યુદ્ધમાં પણ તેમની મહત્ત્વની કામગીરી. એવી જ રીતે વૉટરલૂની લડાઈમાં નેપોલિયનને હરાવનાર બ્રિટિશ સૈન્યમાં પણ તેમનું આગળપડતું સ્થાન. લશ્કરી વિજયો મેળવ્યા પછી તેઓ બ્રિટનના રાજકારણમાં પડ્યા અને ૧૮૨૮થી ૧૮૩૦ સુધી ગ્રેટ બ્રિટનના વડા પ્રધાન બન્યા. ૧૮૩૪માં ફરી થોડા મહિના માટે તેઓ ગ્રેટ બ્રિટનના વડા પ્રધાન બનેલા. બ્રિટિશ શાસન દરમ્યાન બંધાયેલી બીજી ઘણી ઇમારતોની જેમ વચમાં ઘણાં વર્ષ આ વેલિંગ્ટન ફાઉન્ટનની પણ માઠી દશા બેઠેલી. પણ પછી ૨૦૧૬-૨૦૧૭ દરમ્યાન આ ફુવારાનો પુનર્જન્મ થયો. બ્રિટિશ શાસન દરમિયાનની મુંબઈની ઘણી ઇમારતોનો જીર્ણોદ્ધાર કરનાર કન્વર્ઝેશન આર્કિટેક્ટ વિકાસ દિલાવરી અને તેમની ટીમે આ કામ પાર પાડેલું.

પણ આપણે વાત કરવી છે એ તો આ ફુવારાથી થોડે દૂર આવેલી એક ઇમારતની. એ બંધાયેલી ૧૮૭૨થી ૧૮૭૬ દરમ્યાન. પણ આ ઇમારત વિશે વધુ વાત કરતાં પહેલાં એક સવાલ: વિક્ટોરિયા ટર્મિનસનું ભવ્ય મકાન, એની સામેનું મુંબઈ મહાનગરપાલિકાનું મકાન, ચર્ચગેટ સ્ટેશન સામે આવેલું BBCI (વેસ્ટર્ન) રેલવેના વડા મથકનું મકાન, ફ્લોરા ફાઉન્ટન કહેતાં હુતાત્મા ચોક નજીક આવેલું ઓરિયેન્ટલ લાઇફ ઇન્શ્યૉરન્સનું મકાન અને આજે જે મકાનની વાત માંડવી છે એ મકાન – આ બધાં હીરા જેવાં મકાનો એકસમાન સૂત્ર વડે એકબીજા સાથે બંધાયેલાં છે. કયું હશે એ સૂત્ર?

એ સૂત્ર તે આ બધાં મકાનોના સ્થપતિ ફ્રેડરિક વિલિયમ સ્ટીવન્સ.૧૮૪૭ના નવેમ્બરની ૧૧મી તારીખે ઇંગ્લૅન્ડમાં જન્મ. ૧૮૬૭માં ઇન્ડિયા પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં એન્જિનિયર તરીકે નિમાઈને હિન્દુસ્તાન આવ્યા. પહેલું એક વર્ષ પુણેમાં ગાળ્યા પછી તેમની બદલી મુંબઈ થઈ અને હિન્દુસ્તાનની સરકારના આર્કિટેક્ટ તરીકે નિમણૂક થઈ. GIP (આજની સેન્ટ્રલ) રેલવેએ જૂના, લાકડાના બોરી બંદર સ્ટેશનને બદલે નવું ભવ્ય વિક્ટોરિયા ટર્મિનસ બાંધવાનું નક્કી કર્યું ત્યારે સરકારે તેમની સેવા એ રેલવેને ઉછીની (લોન) આપી. કહેવાય છે કે આગરાના તાજમહલ પછી હિન્દુસ્તાનની બીજી કોઈ ઇમારતના સૌથી વધુ ફોટા લેવાયા હોય તો તે આ વિક્ટોરિયા ટર્મિનસ કહેતાં બોરી બંદર, કહેતાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના. પાઘડી પને બંધાયેલા આ સ્ટેશન સામે આવેલું બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનનું ઊંચું મકાન એ પણ આ સ્ટીવન્સસાહેબનું જ સર્જન. અપોલો બંદર વિસ્તારમાં તેમણે બાંધેલું એક મકાન હતું પોસ્ટ ઑફિસ મ્યુઝ. પણ આજે એનું ક્યાંય નામોનિશાન જોવા મળતું નથી. 

પણ અપોલો બંદરથી થોડે દૂર, વેલિંગ્ટન સર્કલ પર બંધાયેલું એક મકાન આજે પણ અડીખમ ઊભું છે. એનું અસલ નામ રૉયલ આલ્ફ્રેડ સેલર્સ હોમ. ૧૯મી સદીમાં બ્રિટિશ નેવીની બોલબાલા આખી દુનિયામાં. મુંબઈનું અને આખા પશ્ચિમ કાંઠાનું રક્ષણ કરવા માટે બ્રિટિશ નેવીનાં જહાજો અને એના ખલાસીઓ ખડે પગે રહે. આ ખલાસીઓ અને તેમના અધિકારીઓ માંદા પડે ત્યારે? તેમની સારવાર કરવા માટે મુંબઈમાં હૉસ્પિટલ તો હતી જ. છેક ૧૭૫૬માં કોલાબા ખાતે બ્રિટિશ નેવીના માંદા ખલાસીઓ અને અફસરોની સારવાર માટે ‘ધ કિંગ્સ સીમેન હૉસ્પિટલ’ શરૂ થયેલી. આઝાદી પછી ૧૯૫૧માં એ બની INHS અશ્વિની.

પણ હૉસ્પિટલમાંથી બહાર નીકળેલા ખલાસી કે અફસરો સીધા ફરજ પર હાજર થઈ શકે એટલા નરવા તો થયા ન હોય. તેમને આરામની, પૌષ્ટિક આહારની વગેરે સગવડો આપવી જોઈએ. એ આપી શકાય એ માટે એક ‘સેલર્સ હોમ’ બાંધવાનું નક્કી થયું. અપોલો બંદર જવાના રસ્તે. કોલાબા કૉઝવે અને ફ્રેરે રોડના જંક્શન આગળ. એટલે કે વેલિંગ્ટન સર્કલ પર, આજના શ્યામા પ્રસાદ મુખરજી ચોક પર. અને એની ડિઝાઇન બનાવવાનું કામ પણ સોંપાયું સ્થપતિ ફ્રેડરિક વિલિયમ સ્ટીવન્સને.

સેલર્સ હોમ તો જાણે સમજ્યા પણ એની સાથે ‘રૉયલ આલ્ફ્રેડ’ નામ કેમ જોડાયું? કોણ હતા આ રૉયલ આલ્ફ્રેડ? બ્રિટિશ સામ્રાજ્યનાં મહારાણી વિક્ટોરિયા અને પ્રિન્સ આલ્બર્ટને કુલ નવ સંતાન. પાંચ દીકરી અને ચાર દીકરા. એમાંના એક તે પ્રિન્સ આલ્ફ્રેડ, ડ્યુક ઑફ એડિનબરા. ૧૮૪૪ના ઑગસ્ટની છઠ્ઠી તારીખે જન્મ, ૫૫ વર્ષની ઉંમરે કૅન્સરના રોગથી ઈ. સ. ૧૯૦૦ના જુલાઈની ૩૦મી તારીખે અવસાન. રાજવી કુટુંબના સભ્ય હોવા ઉપરાંત તેમણે રૉયલ નેવીમાં પોતાની અલાયદી કારકિર્દી બનાવી હતી. ૧૮૬૭માં તેઓ વિશ્વપ્રવાસે નીકળ્યા. બીજા કેટલાક દેશોની મુલાકાત લીધા પછી ૧૮૬૭ના ઑક્ટોબરની ૩૧મી તારીખે તેઓ દક્ષિણ ઑસ્ટ્રેલિયા પહોંચ્યા. ૧૮૬૮ના માર્ચની ૧૨મી તારીખે એક સમારંભમાં એક માણસે તેમના પર પાછળથી ગોળીબાર કર્યો. ગોળીબાર એટલો નજીકથી થયેલો કે એ જીવલેણ જ નીવડે પણ પ્રિન્સના સદ્ભાગ્યે તેમના પોશાકમાંના એક પિત્તળના બકલ સાથે ઘસાવાથી ગોળીનો વેગ ઘટી ગયો. જેમને ખુદ ફ્લોરેન્સ નાઇટિંગલે તાલીમ આપેલી એવી છ નર્સે બે અઠવાડિયાં સુધી તેમની સારવાર કરી. બીજી બાજુ પ્રિન્સ પર ગોળીબાર કરનાર પર અત્યંત ઝડપથી કેસ ચલાવીને ૧૮૬૮ના એપ્રિલની ૨૧મીએ તેને ફાંસીની સજા કરવામાં આવી.

થોડો વખત સ્વદેશ જઈને આરામ કર્યા પછી પ્રિન્સે પોતાનો વિશ્વપ્રવાસ આગળ વધાર્યો અને ૧૮૬૯ના ડિસેમ્બરમાં તેઓ હિન્દુસ્તાન આવી પહોંચ્યા. તેમની આ મુલાકાતની ખાસ વાત એ હતી કે ગ્રેટ બ્રિટનના શાહી કુટુંબના સભ્યોમાંથી હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનારા તેઓ પહેલા હતા.

મુંબઈમાં તેમનો ઉતારો પરળ ખાતે આવેલા ગવર્નરના બંગલામાં હતો. તેઓ મુંબઈ આવ્યા એ સાંજે ગવર્નરે આપેલી પાર્ટીમાં એક હજાર આમંત્રિત મહેમાનો હાજર હતા. બીજા દિવસે સાંજે પ્રિન્સની સવારી મુંબઈના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થવાની હતી. એટલે એ વિસ્તારો તો ખરા જ, પણ આખા મુંબઈ શહેરને રોશની, તોરણો અને ધજા-પતાકાથી શણગારવામાં આવ્યું હતું. એ દિવસે બપોરથી લોકોનાં ટોળાં રસ્તાની બન્ને બાજુ ઊભાં રહીને સવારીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. ૧૩ મે, ૧૮૭૦ના ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે ગવર્નર્સ હાઉસને તો અભૂતપૂર્વ રીતે શણગારવામાં આવ્યું હતું અને આખા પરળ રોડની બન્ને બાજુ રોશની ઉપરાંત ઠેર ઠેર યુનિયન જૅક ફરકાવવામાં આવ્યા હતા. ઓરિયેન્ટલ સ્પિનિંગ ઍન્ડ વીવિંગ મિલની ઇમારત પર પ્રિન્સની વિશાળકાય છબી ઉપરાંત બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે આભાર વ્યક્ત કરતાં સૂત્રો લખવામાં આવ્યાં હતાં. તો બીજી બાજુ એલ્ફિન્સ્ટન કૉલેજનું મકાન (જે એ વખતે પરળ વિસ્તારમાં આવેલું હતું) પણ રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું. સવારી જ્યારે ભાયખળાના રેલવે બ્રિજ પર આવી પહોંચી ત્યારે સામે જે દૃશ્ય દેખાતું હતું એને તો માત્ર એક જ શબ્દથી વર્ણવી શકાય : અદ્ભુત! એ જમાનામાં ‘ટ્રાન્સપરન્સી’ ખૂબ લોકપ્રિય હતી. એમાં મોટા પારદર્શક કાચ પર બહુરંગી ચિત્ર બનાવીને પાછળ રોશની કરવામાં આવતી. એટલે ચિત્ર આખું ઝળાંહળાં થઈ જાય. બ્રિજ પરથી નીચે ઊતરતી વખતે બન્ને બાજુ આવી સેંકડો ટ્રાન્સપરન્સીમાં મૂકેલાં પ્રિન્સ અને ક્વીન વિક્ટોરિયા ઉપરાંત રાજવી કુટુંબના બીજા સભ્યોનાં ચિત્ર આખા વિસ્તારને ઝગમગતો કરી રહ્યાં હતાં. એની સાથોસાથ હિન્દુસ્તાનની જુદી-જુદી ભાષાઓમાં પ્રિન્સને આવકાર આપતાં સૂત્રો કપડા પર લખીને રસ્તા વચ્ચે લટકાવ્યાં હતાં.

દિવાળીના દિવસોમાં પણ સાધારણ રીતે ભીંડી બજારમાં રોશની જોવા ન મળે પણ પ્રિન્સને આવકારવા માટે તો ત્યાં પણ રોશની કરવામાં આવી હતી. મમ્માદેવી અને કાલબાદેવીનાં મંદિરો પર પણ રોશની કરવામાં આવેલી એટલું જ નહીં, એના આગલા ભાગને ધજા-પતાકા અને ફૂલનાં તોરણોથી સજાવ્યા હતા. ત્યાંના વાસણ, કાપડ વગેરે જણસોના વેપારીઓએ પોતપોતાની દુકાનની બહાર રસ્તા પર કમાનો બનાવીને એને પોતે વેચતા માલ-સામાનથી સજાવી હતી. આગળ જતાં એસ્પ્લનેડ રોડ બન્ને બાજુએ રોશનીથી ઝળાંહળાં થતો હતો. આગળ જતાં ફ્લોરા ફાઉન્ટનને પણ રંગબેરંગી રોશનીથી શણગાર્યો હતો. એનાથી થોડે દૂર રસ્તા પર એક કામચલાઉ દરવાજો બનાવ્યો હતો. એના મથાળે મોટા અક્ષરોમાં WELCOME લખ્યું હતું અને એની નીચે હિન્દુસ્તાનની વસ્તીના જુદા-જુદા પ્રદેશ અને ધર્મના લોકોના પ્રતિનિધિ જેવાં ચિત્રો દોર્યાં હતાં. એનાથી થોડે દૂર ઓરિએન્ટલ બૅન્કના મકાનની ટોચ પર બહુ મોટી મૅગ્નેશિયમ લાઇટ ઝગારા મારતી હતી. BBCI રેલવેના વડા મથક પર ત્રિરંગી રોશની કરવામાં આવી હતી. આ ત્રણ રંગો હતા રેલવે સિગ્નલમાં વપરાતા ત્રણ રંગો: લાલ, લીલો, અને પીળો. એલ્ફિન્સ્ટન સર્કલ પર ટાઉન હૉલ, મિન્ટ, વૉટસન હોટેલ અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનું મકાન (જે પછીથી બોરી બંદર પાસે ખસેડાયું) એવી રીતે શણગાર્યાં હતાં કે આખો વિસ્તાર એના વડે ઝળહળી રહ્યો હતો. અને એ અજવાળું જાણે ઓછું હોય એમ આખા સર્કલ પર રસ્તાની વચ્ચોવચ મોટાં-મોટાં ઝુમ્મરો લટકાવ્યાં હતાં. પરિણામે આખો વિસ્તાર પરીઓના પ્રદેશ જેવો લાગતો હતો. સર્કલની વચ્ચોવચ એક મોટા દરવાજા પર રાણીના રાજને પ્રતાપે હિન્દુસ્તાનને થયેલા ફાયદા અને મળેલા લાભ દર્શાવતાં ચિત્રો મૂક્યાં હતાં.

અને એલ્ફિન્સ્ટન સર્કલથી નીકળીને લાયન ગેટ તરફ સવારી આગળ વધી. પ્રિન્સ આલ્ફ્રેડની સાથે આપણી સવારી પણ હવે આવી પહોંચી છે વેલિંગ્ટન સર્કલ. પ્રિન્સ આલ્ફ્રેડને અહીં આવવા માટે ખાસ કારણ હતું. કયું હતું એ કારણ?

એની વાત હવે પછી.

chhatrapati shivaji maharaj terminus csmt great britain england history culture news travel travel news mumbai news mumbai news life and style lifestyle news columnists gujarati mid day exclusive