04 August, 2019 11:59 AM IST | મુંબઈ
કાજોલ, તનુજા, તનીશા મુખરજી અને જૅકી શ્રોફે કર્યું વૃક્ષારોપણ
વધતા પ્રદુષણને ધ્યાનમાં રાખતાં કાજોલ, તેનો દીકરો યુગ, તનુજા, તનીશા મુખરજી અને જૅકી શ્રોફે લોનાવલામાં ટ્રી પ્લાન્ટેશન અભિયાનમાં ભાગ લીધો હતો. આ પહેલનું આયોજન તનીશાએ સ્ટેમ્પ એનજીઓ સાથે મળીને કર્યું હતું. સૌએ છોડ વાવીને ઝાડનાં જતનનો સંદેશ આપ્યો હતો. સૌનાં હાથ માટીમાં ખરડાયેલાં હતાં. આ ફોટો જૅકી શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. વૃક્ષોની અગત્યતા વિશે જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘છોડ વાવવા એ જ માત્ર પર્યાવરણને પાછું આપવાનો માર્ગ નથી. એ તો આપણી જવાબદારી છે. છોડ વાવીને આપણે કોઈનાં પર કૃપા નથી કરતાં. આ અભિયાનમાં હું એટલા માટે હાજર રહ્યો કારણ કે આવનારી જનરેશન માટે અને તેમને શ્વાસોચ્છવાસ માટે જે હવા મળી રહી છે એનાથી હું ચિંતીત છું. હું ભારતની અડધી લોકસંખ્યા એવી યુવા પેઢીને અરજ કરું છું કે તેઓ આગળ આવે. પર્યાવરણ પ્રતિની પોતાની જવાબદારી સમજે કારણ કે છોડ વાવવાની સાથે તાજી હવા તો મળશે જ પણ સાથે સાથે સ્વાસ્થ્યને પણ ઘણાં લાભ થશે.’
આ પણ વાંચો: મારી જાતને હું ગંભીરતાથી નથી લેતો : રાજકુમાર રાવ
તનીશાનાં આ અભિયાનની પ્રશંસા કરતા કાજોલે કહ્યું હતું કે ‘મેં ક્યાંક વાંચ્યું હતું કે એક વ્યક્તિ તેનાં જીવનભરમાં જેટલો શ્વાસ લે છે એ ૭ વૃક્ષ સમાન છે. આ પહેલમાં સામેલ થઈને અમે કુદરત પ્રતિનું એ ઋણ અદા કરીએ છીએ. આપણે ધરતીનાં આભારી છીએ. હું મારી બહેન પર ખૂબ ગર્વ અનુભવું છું કે તેણે આ અભિયાન શરૂ કર્યું છે. મેં એવી લાઇન પણ વાંચી હતી કે જો ઝાડને WiFi હોત તો દરેકે વૃક્ષો વાવ્યા હોત. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જો આપણે વધુમાં વધુ ઝાડ વાવીશું તો પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તન આવી શકશે. એથી હું લોકોને અપિલ કરું છું કે મહેરબાની કરીને તમારી આસપાસનાં વિસ્તારમાં અથવા તો બહાર વૃક્ષોની વાવણી કરો એથી આવતીકાલ માટેનું વાતાવરણ સ્વચ્છ થાય.’