01 April, 2026 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
બૉલીવુડમાં અનેક સુપરહિટ રોમૅન્ટિક ફિલ્મો આપનાર આમિર ખાને હાલમાં પોતાના જીવન સાથે સંકળાયેલો મોટો ખુલાસો કરતાં કહ્યું હતું કે મને બાળપણમાં રોમૅન્ટિક ફિલ્મો જોવાની મંજૂરી જ નહોતી.
આમિર ખાને કહ્યું હતું કે ‘ફિલ્મો કરતાં મારો ઝુકાવ હંમેશાં વાંચન તરફ વધુ રહ્યો છે. હું બાળપણથી જ ઘણું વાંચતો હતો. હું જે ફિલ્મો જોતો હતો એ બ્લૅક ઍન્ડ વાઇટ હતી અથવા બહુ જૂની ફિલ્મો હતી જે દૂરદર્શન પર આવતી હતી. હું એક ખૂબ જ રૂઢિવાદી પરિવારમાં ઊછર્યો છું અને મારાં માતા-પિતા ફિલ્મો અને અન્ય બાબતોને લઈને ખૂબ કડક હતાં. અમને ફિલ્મો જોવાની મંજૂરી નહોતી. મને યાદ છે કે જ્યારે હું મમ્મીને પૂછતો કે મા, શું હું ફિલ્મ જોઈ શકું? ત્યારે તેઓ હા તો પાડતાં, પણ અમને રોમૅન્ટિક ફિલ્મો જોવાની મનાઈ હતી.’
આમિર ખાને વધુમાં જણાવ્યું હતું કે ‘હું માત્ર શનિવાર-રવિવારે જ ફિલ્મો જોતો હતો. એ સમયે મેં દિલીપકુમાર અને અશોકકુમારની ઘણી ફિલ્મો જોઈ હતી. હું ૧૮ વર્ષની ઉંમરે ફિલ્મમેકિંગમાં આવ્યો હતો અને અસિસ્ટન્ટ તરીકે મેં કામ શરૂ કર્યું હતું. હું ફિલ્મો બનાવું છું, પરંતુ હું પોતે બહુ ઓછી ફિલ્મો જોઉં છું. હૉલીવુડ અથવા દુનિયામાં શું ચાલી રહ્યું છે એની મને પૂરી માહિતી રહેતી નથી.’