03 June, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
આમિર ખાન હાલમાં તેની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પછી આમિર તેના ડ્રીમ-પ્રોજેક્ટ ‘મહાભારત’ પર કામ કરવાનો છે. હાલમાં એક પૉડકાસ્ટમાં આ ફિલ્મ વિશે વાત કરતાં આમિર ખાને તેની નિવૃત્તિ વિશે મોટો સંકેત આપ્યો. તેણે ‘મહાભારત’ વિશે વાત કરતાં કહ્યું કે આ ફિલ્મ એટલી મોટી છે કે કદાચ આ ફિલ્મ પછી તેઓ બીજું કોઈ કામ નહીં કરે.
જ્યારે આમિરને પૂછવામાં આવ્યું કે શું તે આને તેની છેલ્લી ફિલ્મ માને છે તો જવાબ આપતાં તેણે સ્પષ્ટતા કરી કે ‘શક્ય છે કે જ્યારે આ ફિલ્મ પૂર્ણ થાય ત્યારે મને લાગે કે હવે મારે બીજું કંઈ કરવાની જરૂર નથી. આ એટલો મોટો પ્રોજેક્ટ છે કે એ પછી કદાચ હું સંતુષ્ટ થઈ જાઉં.’
આમિરે જણાવ્યું કે તેણે હંમેશાં ‘મહાભારત’ને મોટા પડદા પર લાવવાનું સપનું જોયું છે, પરંતુ આ સરળ કામ નથી. આમિરે એ પણ સ્પષ્ટ કર્યું કે હજી એ નક્કી નથી કે તે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે કે નહીં. ‘મહાભારત’ વિશે આમિરે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ‘આ પ્રોજેક્ટ એટલો મોટો છે કે એકલો દિગ્દર્શક એને સંભાળી શકે નહીં. આની વાર્તાને એક ફિલ્મમાં નહીં કહી શકાય. આ ઘણી ફિલ્મોની સિરીઝ હશે. એથી એને સારી રીતે ન્યાય આપવા કદાચ ઘણા દિગ્દર્શકોની જરૂર પડશે.’