21 February, 2026 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાનનું ગજબનું પર્ફેક્શન
આમિર ખાન છેલ્લાં ૩૮ વર્ષથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં લીડ ઍક્ટર તરીકે સક્રિય છે. ૧૯૮૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી તેણે લીડ ઍક્ટર તરીકે ડેબ્યુ કર્યું. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી અને ત્યારથી આમિર ખાને પાછું વળીને ક્યારેય જોયું નથી. આમિરને ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે તેના દરેક પાત્રમાં સંપૂર્ણ રીતે ડૂબી જઈને કામ કરે છે. હાલમાં આમિરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે ‘રાખ’ના લુક માટે ૧૨ દિવસ અને ‘ગુલામ’ના લુક માટે ૮ દિવસ સુધી નાહ્યો નહોતો.
આમિરે ઇન્ટરવ્યુમાં આ ફિલ્મો વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘‘રાખ’માં મેં એવું પાત્ર ભજવ્યું હતું જે પોતાનાં ઘર-પરિવાર છોડીને રસ્તા પર રહેવા લાગે છે. આ દરમ્યાન હું નાહ્યો પણ નહોતો જેથી મને ખરેખર રસ્તા પર રહેવાનો અનુભવ આવે. મેં ‘ગુલામ’માં પણ આવો પ્રયોગ કર્યો હતો. હું ‘ગુલામ’ કરી રહ્યો હતો ત્યારે ફિલ્મમાં લાંબી ઍક્શન સીક્વન્સ હતી, જેમાં મને ખૂબ માર પડે છે. ધીમે-ધીમે મારી ઈજાઓ વધતી જાય છે અને લોહી વધારે વહે છે. જો હું દરરોજ શૂટિંગ બાદ ઘરે જઈને નાહીં લઉં તો પાત્રની કન્ટિન્યુટી બગડી જાય. આ કારણોસર મેં નક્કી કર્યું કે હું એક અઠવાડિયું નહીં નાહું જેથી હું દર્શકોને રિયલ લુક આપી શકું.’