16 September, 2026 05:28 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
હરિવંશરાય બચ્ચન
રામનગરી અયોધ્યામાં અમિતાભ બચ્ચન પોતાના પિતા અને પ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. હરિવંશરાય બચ્ચનની સ્મૃતિમાં ધર્મશાળા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે અયોધ્યા વિકાસ પ્રાધિકરણમાં નકશાની મંજૂરી માટે અરજી કરવામાં આવી છે. પ્રસ્તાવિત ધર્મશાળામાં વીસથી વધુ રૂમ બનાવવાની યોજના છે.
રિપોર્ટ પ્રમાણે અયોધ્યાના દશરથ પથ પાસે આવેલા ‘ધ સરયૂ’ પ્રોજેક્ટમાં અમિતાભ બચ્ચને આશરે ૧૫ કરોડ રૂપિયામાં જમીન ખરીદી હતી. હવે આ જ જમીન પર ભવ્ય મેમોરિયલ ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવશે.
અયોધ્યા વિકાસ પ્રાધિકરણમાં નકશાની મંજૂરી માટેની અરજી મળ્યા બાદ નિયમ મુજબ ૧૫ દિવસ સુધી જાહેર વાંધા મગાવવામાં આવ્યા છે. આ સમયગાળો પૂર્ણ થયા પછી પ્રાધિકરણ દ્વારા નકશાનું વિગતવાર પરીક્ષણ કરવામાં આવશે અને તમામ નિયમો મુજબ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થશે. માનવામાં આવે છે કે જો તમામ ઔપચારિકતાઓ સમયસર પૂર્ણ થશે તો ઑક્ટોબર સુધી નકશાને મંજૂરી મળી શકે છે અને ત્યાર બાદ નિર્માણકાર્ય શરૂ થવાની શક્યતા છે. હરિવંશરાય બચ્ચનની સ્મૃતિમાં બનનારી આ ધર્મશાળા માત્ર શ્રદ્ધાળુઓ માટે રહેવાની સુવિધા જ નહીં, અયોધ્યાના ધાર્મિક પર્યટન અને નાગરિક સુવિધાઓમાં પણ મહત્ત્વનો વધારો કરશે.