20 June, 2026 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન (ફાઈલ તસવીર)
૮૩ વર્ષની વયે પણ અમિતાભ બચ્ચન પોતાના કામ પ્રત્યે અત્યંત ગંભીર છે. અમિતાભ સતત પોતાના કામના મામલે ચિંતામાં રહે છે અને આના કારણે રાત્રે સારી રીતે ઊંઘી પણ શકતા નથી. હાલમાં અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું હતું કે હાલમાં કામને લગતા વિચારોને કારણે તેમને આખી રાત ઊંઘ નહોતી આવી. પોતાના આ અનુભવ વિશે વાત કરતાં અમિતાભે લખ્યું હતું કે ‘કામની કેટલીક ક્ષણો. એને પૂર્ણ કર્યા પછી મને લાગ્યું કે એને વધુ સારી રીતે કરી શકાય એમ હતું. મને મંજૂરી મળી તેથી મેં એને ફરી કર્યું. હવે મને ખબર નથી કે એ પહેલાં કરતાં સારું બન્યું છે કે નહીં. એને જોનારા લોકો જ આ વિશે કહી શકશે. આ વિચારોને કારણે હું ઊંઘી શક્યો નહીં અને ક્યારે સવાર થઈ ગઈ એની ખબર જ પડી નહીં.’