07 June, 2025 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન તેમના સંયમિત જીવન માટે જાણીતા છે પણ એક સમયે તેઓ આવા નહોતા. અમિતાભે પોતાના જૂના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું ચેઇનસ્મોકર અને દારૂનો શોખીન હતો એટલું જ નહીં, હું માંસાહારી પણ હતો. આ ઇન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેમનાં પત્ની જયા અને તેમનાં માતા તેજી બન્નેને માંસ ગમે છે અને એનાથી તેમને ક્યારેય કોઈ સમસ્યા નથી થઈ. તેમણે કહ્યું હતું કે ‘હું ધૂમ્રપાન નથી કરતો, દારૂ નથી પીતો કે માંસ ખાતો નથી. આ કોઈ ધાર્મિક મામલો નથી, બલકે આ ફક્ત સ્વાદનો મામલો છે. અમારા પરિવારમાં મારા પિતા શાકાહારી છે, પણ મારી માતા નથી. એ જ રીતે જયા નૉનવેજ ખાય છે અને હું નથી ખાતો. હું માંસ ખાતો હતો. હકીકતમાં હું દારૂ પીતો હતો અને ધૂમ્રપાન પણ કરતો હતો, પરંતુ હવે મેં એ બધું છોડી દીધું છે. કલકત્તામાં હું દિવસમાં ૨૦૦ સિગારેટ પીતો હતો, પણ બૉમ્બે આવ્યા બાદ છોડી દીધી હતી. હું દારૂ પણ પીતો હતો, જે હાથમાં આવે એ દારૂ પીતો હતો, પરંતુ થોડાં વર્ષો પહેલાં મેં નક્કી કર્યું કે મને ખરેખર આની જરૂર નથી. મારી આદતો મને કોઈ સમસ્યા નથી આપતી. જોકે હું વિદેશમાં શૂટિંગ કરતો હોઉં ત્યારે શાકાહારી ભોજન મેળવવું મુશ્કેલ થઈ જાય છે.’