12 May, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અનુપમ ખેરે પોતાની ૩૦ વર્ષ જૂની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને ખાસ અંદાજમાં યાદ કરી છે. તે ફિલ્મના ક્લાઇમૅક્સ સાથે જોડાયેલા મહારાષ્ટ્રના આપ્ટા રેલવે-સ્ટેશનના પ્રખ્યાત રેલવે-ટ્રૅક પર પહોંચ્યા હતા. તેમણે આ ફિલ્મ સાથેની જૂની યાદગીરી વાગોળી હતી અને મહારાષ્ટ્ર સરકારને આવાં સ્થળોને પર્યટનસ્થળ તરીકે જાહેર કરવાની અપીલ પણ કરી હતી. ખાસ વાત તો એ છે કે આ સ્ટેશન પર ‘ખાકી’, ‘બંટી ઔર બબલી’, ‘રંગ દે બસંતી’ અને ઑસ્કર અવૉર્ડ વિજેતા ફિલ્મ ‘સ્લમડૉગ મિલ્યનર’નાં દૃશ્યો પણ શૂટ કરવામાં આવ્યાં છે.
અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે આ રેલવે-પ્લૅટફૉર્મ પર જોવા મળી રહ્યા છે. આ વિડિયોના કૅપ્શનમાં અનુપમે લખ્યું છે, ‘એ સમયે શૂટિંગ દરમ્યાન મેં ક્યારેય વિચાર્યું નહોતું કે શાહરુખ ખાન અને કાજોલનું આ દૃશ્ય ભારતીય સિનેમાની સૌથી યાદગાર પળોમાં સામેલ થઈ જશે, પરંતુ કદાચ જીવનની સુંદરતા જ એમાં છે. કોઈ પળની લોકપ્રિયતા અને મહાનતાનો અહેસાસ ઘણા સમય પછી થાય છે. આજે પણ આપ્ટા રેલવે-સ્ટેશન પર ઊભા રહીને એવું લાગ્યું કે સમય થોડા સમય માટે થંભી ગયો હોય. મહારાષ્ટ્ર સરકાર આ સ્થળને પર્યટનસ્થળ તરીકે વિકસિત કરે એવી દિલથી ઇચ્છા છે. દુનિયાભરમાં ફિલ્મોનાં આવાં લોકેશન્સ લોકો માટે યાદો અને લાગણીઓનો ભાગ બની જાય છે. આપણા દેશમાં પણ સિનેમાના આ વારસાને એ જ સન્માન સાથે સાચવવો જોઈએ. જાદુ માત્ર ફિલ્મોમાં જ નથી હોતું, કેટલીક જગ્યાઓમાં પણ વસેલું હોય છે.’