રસ્તો જેટલો મુશ્કેલ હોય છે, અંતે મળતી સફળતા એટલી જ વધુ સંતોષકારક બને છે

29 June, 2026 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મળો ફિલોસૉફર અનુપમ ખેરને, કહે છે કે ટીકાઓથી મને ખરાબ નથી લાગતું

અનુપમ ખેર

અનુપમ ખેરે તાજેતરમાં સફળતા, સંઘર્ષ અને ટીકા સામે કેવી રીતે મજબૂત રહેવું એ વિશે પ્રેરણાદાયી સંદેશ શૅર કર્યો છે. તેમણે પોતાના સોશ્યલ મીડિયા પર લખ્યું કે હવે તે નકારાત્મક ટિપ્પણીઓને વ્યક્તિગત રીતે લેતા નથી અને જીવનમાં આગળ વધવા માટે સતત નવા પડકારોની શોધમાં રહે છે.

અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, ‘મને હંમેશાં ચડાણ કરવું ગમ્યું છે, કારણ કે મારું લક્ષ્ય માત્ર શિખર સુધી પહોંચવાનું નથી પણ ત્યાં પહોંચવા માટેની મુશ્કેલ અને પડકારજનક સફરનો આનંદ માણવાનું છે. રસ્તો જેટલો મુશ્કેલ હોય છે, અંતે મળતી સફળતા એટલી જ વધુ સંતોષકારક બને છે. જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં કોઈ ખાસ મુકામ હાંસલ કરે છે ત્યારે કેટલાક લોકો 
તેને નીચે ખેંચવાનો પ્રયાસ કરે છે. કદાચ એવું કરવાથી તેમને પોતાને સારું લાગે છે. જો કોઈ વ્યક્તિ તમારી જેમ સફળતા મેળવી શકતી નથી, તો તેની પાસે બે વિકલ્પ હોય છે...

મહેનત કરીને એ સ્તર સુધી પહોંચવાનો પ્રયાસ કરવો અથવા પછી તમારી ટીકા કરવી. મોટા ભાગે લોકો માટે ટીકા કરવી સરળ હોય છે. હવે હું આવી ટીકાનું ખરાબ નથી લગાડતો. હું તો માત્ર એક વધુ પર્વત, એક વધુ સીડી અને એક વધુ પડકારની શોધમાં રહું છું. સાચી ખુશી ક્યારેય શિખર પર ઊભા રહેવામાં નથી હોતી પણ ત્યાં સુધી પહોંચવા માટેના ચડાણમાં હોય છે.’

anupam kher bollywood buzz bollywood news bollywood entertainment news