17 November, 2025 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ. એસ. રાજામૌલી
શનિવારે ફિલ્મ-ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીની આગામી ફિલ્મ ‘વારાણસી’ના ટીઝર લૉન્ચિંગ માટેની ગ્રૅન્ડ ઇવેન્ટ હૈદરાબાદમાં યોજાઈ હતી. આ ઇવેન્ટમાં એસ. એસ. રાજામૌલીએ સ્ટેજ પર કહ્યું હતું કે ‘આ મારા માટે ભાવુક ક્ષણ છે. હું ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતો, પણ મારા પિતાજી આવ્યા અને કહ્યું કે ભગવાન હનુમાન બધું સંભાળી લેશે. શું તેઓ આમ સંભાળે છે? આવું વિચારીને મને ગુસ્સો આવે છે. જ્યારે મારા પિતાએ હનુમાનજી વિશે વાત કરી અને સફળતા માટે તેમના આશીર્વાદ પર નિર્ભર રહેવાનું સૂચન કર્યું ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો હતો.’
હકીકતમાં એ સમયે ઇવેન્ટમાં ટેક્નિકલ સમસ્યા આવી રહી હતી. આ બાબતે એસ. એસ. રાજામૌલી અપસેટ હતા અને તેમણે આ આખી નિષ્ફળતાને ભગવાન હનુમાન સાથે જોડીને કહી. જોકે હવે એસ. એસ. રાજામૌલીને તેમના આ નિવેદન બદલ તેમ જ તેમની માનસિકતા બદલ સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.