21 August, 2026 03:29 PM IST | Jalna | Gujarati Mid-day Correspondent
ગામડાંનાં બાળકો પરેશાન છે તો આપણો દેશ પણ પરેશાન
આયુષ્માન ખુરાના હાલમાં મહારાષ્ટ્રના જાલના જિલ્લાના પ્રવાસે ગયો હતો. અહીં તેણે અધિકારીઓ સાથે મુલાકાત કરી અને એક બાળકીનો પત્ર વાંચીને ઇમોશનલ થઈ ગયો હતો. આયુષ્માન યુનિસેફ ઇન્ડિયાનો નૅશનલ ઍમ્બૅસૅડર છે. તે સતત બાળકોના અધિકારો, ઑનલાઇન સુરક્ષા, માનસિક સ્વાસ્થ્ય અને લિંગસમાનતા જેવા મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવતો રહે છે. જાલનાનો આ પ્રવાસ પણ એ જ પ્રયાસનો એક ભાગ હતો
પોતાની આ મુલાકાત વિશે વાત કરતાં આયુષ્યમાને કહ્યું હતું કે ‘હું યુનિસેફ ઇન્ડિયાના સહયોગથી ચાલી રહેલા એક કાર્યક્રમ અંતર્ગત જાલના ગયો હતો. જિલ્લાના એક ગામની મુલાકાત દરમ્યાન એક બાળકીએ મને પત્ર આપ્યો, જેમાં તેણે પોતાના સ્કૂલ સુધી જતા રસ્તાની ખરાબ હાલત વિશે લખ્યું હતું. પત્રમાં જણાવાયું હતું કે અસુરક્ષિત અને ખરાબ રસ્તાઓના કારણે અનેક બાળકોને અને ખાસ કરીને દીકરીઓને ભણતર અધૂરું છોડવું પડે છે. મેં આ તમામ પત્રો વ્યક્તિગત રીતે જિલ્લા કલેક્ટરને સોંપ્યા છે અને મને આશા છે કે આ સમસ્યાનું જલદી નિરાકરણ આવશે. જ્યારે નાનાં બાળકો શિક્ષણના માધ્યમથી પોતાની વાત જાગૃતતાપૂર્વક રજૂ કરે છે ત્યારે લાગે છે કે આપણો દેશ આગળ વધી રહ્યો છે. સમાજ માટે સૌથી મોટો સંદેશ એ છે કે આવનારી પેઢી માટે આપણે વધુ જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ. ભારતની લગભગ ૭૦ ટકા વસ્તી ગામડાંમાં રહે છે. જો આપણાં ગામોનો વિકાસ નહીં થાય તો દેશ કેવી રીતે પ્રગતિ કરશે? જો ગામડાંનાં બાળકો પરેશાન છે તો મને લાગે છે કે આપણો દેશ પણ પરેશાન છે.’