14 February, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર અલાહાબાદિયા, મુકેશ ખન્ના
યુટ્યુબર રણવીર અલાહાબાદિયા હાલ વિવાદોમાં ઘેરાયેલો છે. તેણે સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’માં પેરન્ટ્સની ઇન્ટિમેટ લાઇફને લગતો અશ્લીલ સવાલ કર્યો હતો અને આ પછી તેની ભારે ટીકા થઈ રહી છે. લોકો તેને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. આ ઘટના પછી તેના ફૉલોઅર્સ ઘટવા માંડ્યા છે. પંજાબી અને હિન્દી મ્યુઝિક સાથે સંકળાયેલા સિંગર અને મ્યુઝિશ્યન બી પ્રાકે તેની સાથેનો અગાઉથી નક્કી કરેલો પૉડકાસ્ટ રદ કર્યો છે. આ કમેન્ટ બદલ રણવીર સામે ઘણી જગ્યાએ પોલીસ-ફરિયાદ પણ નોંધાઈ છે.
હવે આ મામલે મુકેશ ખન્નાએ રણવીર પર પોતાનો ગુસ્સો ઠાલવતાં કહ્યું છે, ‘એ જાણીને દુઃખ થયું કે રણવીર અલાહાબાદિયા જેવા સફળ યુટ્યુબરે ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’માં આવી ભયાનક કમેન્ટ કરી છે. એ દર્શાવે છે કે આપણા દેશના યુવાનોને વાણીસ્વાતંયનો દુરુપયોગ કરવાની સ્વતંત્રતા છે. આને હળવાશથી ન લેવી જોઈએ. કોઈ તેને થપ્પડ કેમ નથી મારતું? આવા લોકો માટે મારી પાસે સજા છે, તેનો ચહેરો કાળો કરો અને તેને ગધેડા પર બેસાડીને શહેરમાં ફેરવો. આવું કરશો તો બીજી વખત કોઈ આવું વર્તન કરવાની હિંમત નહીં કરે.’