21 July, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચંદ્ર બારોટ
વર્ષ ૧૯૭૮માં આવેલી પ્રતિષ્ઠિત ફિલ્મ `ડોન`ના ડિરેક્ટર અને પીઢ ફિલ્મનિર્માતા ચંદ્ર બારોટનું અવસાન (Chandra Barot Death) થયું છે. તેઓ છેલ્લાં સાત વર્ષથી પલ્મોનરી ફાઇબ્રોસિસ સાથે ઝઝૂમી રહ્યા હતા. આખરે આ લડાઈ તેઓ હારી ગયા અને 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું છે. ગુરુ નાનક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
ભારતીય ફિલ્મજગતની શ્રેષ્ઠ કૃતિ તરીકે ડોન જાણીતી છે. જેના ડિરેક્ટર હતા ચંદ્ર બારોટ. તેમનું આજે અવસાન (Chandra Barot Death) થયું છે. તેમના અવસાનના સમાચાર શૅર કરતાં તેમનાં પત્ની દીપા બારોટે જણાવ્યું હતું કે, "તેઓ છેલ્લાં સાત વર્ષથી પલ્મોનરી ફાઇબ્રોસિસ સામે લડી રહ્યા હતા. ગુરુ નાનક હોસ્પિટલમાં તેઓની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. પહેલાં તેઓને જસલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા."
ચંદ્ર બારોટ (Chandra Barot Death)નો જન્મ અને ઉછેર તાંઝાનિયામાં થયો હતો. ત્યાં એક બેન્કમાં કામ કર્યા બાદ તેઓ ભારત આવ્યા હતા. જ્યાં તેમણે મનોજ કુમારના માર્ગદર્શન હેઠળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું હતું. ડોન ઉપરાંત ચંદ્ર બરોટે `રોટી કપડા ઔર મકાન`, `યાદગાર`, `શોર` તેમ જ `પૂરબ ઔર પશ્ચિમ`માં સહાયક નિર્દેશક તરીકે સેવા આપી હતી. `જિંદગી જિંદગી` (1972) નિષ્ફળ રહ્યા બાદ અને ઈરાની ખૂબ જ દેવામાં ડૂબી ગયા હતા. ત્યારબાદ બારોટ અને તેમના અન્ય ભાગીદારોએ `ડોન` બનાવવાનો નિર્ણય લીધો હતો. તેમનો વારસો ડોન ફ્રેન્ચાઇઝી દ્વારા જીવતો રહ્યો, જે વર્ષો પછી વિસ્તર્યો. ૨૦૦૬માં શાહરૂખ ખાને ડોનની નવી આવૃત્તિમાં અભિનય કર્યો હતો, જે બારોટની મૂળ ફિલ્મને સમર્પિત હતી. તે ફિલ્મની સિક્વલ બની હતી અને હવે ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત ત્રીજા ભાગનું કામ ચાલી રહ્યું છે, જેમાં રણવીર સિંહ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે. ડોનની સફળતા બાદ બંગાળી ફિલ્મ આશ્રિતા (1989) અને પ્યાર ભરા દિલ (1991)નું નિર્દેશન ચંદ્ર બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ પ્રમાણે ચંદ્ર બારોટને ‘ડોન’ની સફળતા બાદ ૫૨ ફિલ્મોની ઓફર મળી હતી, પરંતુ તેઓ માત્ર થોડીક જ ફિલ્મો જ બનાવી શક્યા હતા. તેમણે નીલ કો પકદના... ઇમ્પોસિબલ, બોસ અને અન્ય જેવા અનેક પ્રોજેક્ટ્સ પર પણ હસ્તાક્ષર કર્યા હતા, જોકે, આ પ્રોજેક્ટ પૂરા ન થઈ શક્યા.
ચંદ્ર બારોટ (Chandra Barot Death) મુંબઈમાં પલ્મોનરી ફાઇબ્રોસિસની સારવાર લઈ રહ્યા હતા, આ જ બીમારી સાથે તેઓ છેલ્લાં ઘણા વર્ષોથી લડી રહ્યા હતા. તેમણે ભારતીય ફિલ્મજગતને આપેલો વારસો પ્રશંસકો અને ફિલ્મ નિર્માતાઓની ભાવિ પેઢીઓને પ્રેરિત કરતો રહેશે. આ ફિલ્મ નિર્માતાએ તેમની બ્લોકબસ્ટર ફિલ્મોની યાદી સાથે અપાર લોકપ્રિયતા મેળવી હતી. આજે જ્યારે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે ત્યારે સમગ્ર ફિલ્મજગત શોકમાં છે.