બોની કપૂર અને તેમની દીકરીઓ અદાલતમાં

18 March, 2026 04:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીદેવીની ચેન્નઈની મિલકતના વિવાદના મામલે ખટખટાવ્યો મદ્રાસ હાઈ કોર્ટનો દરવાજો

બોની કપૂર અને તેમની દીકરીઓ જાહ્‍નવી તથા ખુશીએ હવે દિવંગત શ્રીદેવીની ચેન્નઈની મિલકત વિવાદ મામલે મદ્રાસ હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

ફિલ્મનિર્માતા બોની કપૂર અને તેમની દીકરીઓ જાહ્‍નવી તથા ખુશીએ હવે દિવંગત શ્રીદેવીની ચેન્નઈની મિલકત વિવાદ મામલે મદ્રાસ હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ વિવાદ બોનીની પત્ની શ્રીદેવી દ્વારા ૧૯૮૮માં ચેન્નઈમાં ઈસ્ટ કોસ્ટ રોડ (ECR) ખાતે ખરીદવામાં આવેલી ૪.૭ એકર જમીનને લઈને છે. ન્યાયમૂર્તિ ટી.વી. થમિલસેલ્વીએ ૧૬ માર્ચે કપૂરપરિવારની સંયુક્ત સિવિલ રિવિઝન અરજી પર ૨૬ માર્ચે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે અને ત્યાં સુધી ચેંગલપટ્ટુની જિલ્લા કોર્ટમાં ચાલી રહેલી તમામ કાર્યવાહી પર સ્ટે મૂકવામાં આવ્યો છે. આ મામલે ચંદ્રબાનુ નામની મહિલા અને તેનાં બે સંતાનોએ દાવો કર્યો છે કે આ મિલકતમાં તેમનો હક છે. બીજી તરફ કપૂરપરિવારનો દાવો છે કે ચંદ્રબાનુએ મૂળ માલિક એમ. સી. ચંદ્રશેખરન સાથે તેમની પહેલી પત્ની જીવિત હોવા છતાં લગ્ન કર્યાં હતાં એટલે કાયદા મુજબ એ લગ્ન અમાન્ય ગણાય છે. કપૂરપરિવારે આરોપ લગાવ્યો છે કે અરજદારોએ પોતાની અરજીમાં મહત્ત્વપૂર્ણ માહિતી છુપાવી છે, જે કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લાં ૩૮ વર્ષથી આ મિલકત તેમના કબજામાં છે તો પછી ૧૯૮૮ના વેચાણ-દસ્તાવેજોને રદ કરવા માટે ૨૦૨૫માં કેસ કેમ દાખલ કરવામાં આવ્યો? બીજી તરફ અરજદારોનો દાવો છે કે કપૂરપરિવારને તેમને ગેરકાયદેસર સંતાન કહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે ૧૯૮૮ના વેચાણ-દસ્તાવેજોને ગેરકાયદેસર ગણાવ્યા છે અને ૨૦૨૩માં ‘પટ્ટા’ મેળવવામાં પણ છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. અરજદારો કહે છે કે તેમને આ મિલકત અને સંબંધિત વ્યવહારો વિશે ૨૦૨૩માં જ માહિતી મળી, ત્યાર બાદ ૨૦૨૫માં કેસ દાખલ કર્યો.

boney kapoor sridevi janhvi kapoor khushi kapoor bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news