03 December, 2025 02:33 PM IST | Haridwar | Gujarati Mid-day Online Correspondent
ઍક્ટર ધર્મેન્દ્ર
બોલીવૂડ જગતના હી-મૅન તરીકે ઓળખાતા ધર્મેન્દ્રએ ૨૪મી નવેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા. ઍક્ટરની ઈચ્છા અનુસાર પરિવારે કોઈપણ વધારે શોરબકોર કર્યા વગર શાંતિથી તેમની અંતિમવિધિઓ પતાવી નાખી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ધર્મન્દ્રજીના નિધનના નવ દિવસ બાદ હવે તેમનો પરિવાર તેમનાં અસ્થિ પધરાવવા (Dharmendra Ashes) માટે હરિદ્વાર ગયો છે. ધર્મેન્દ્રનાં અસ્થિનું ગંગામાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. આજે સવારે આશરે ૧૧.૦૦ કલાકે હરિદ્વારની ગંગામાં ધરમપાજીનાં અસ્થિ પધરાવાયાં હતાં. આ દરમિયાન પરિવારનજનોએ પણ હાજરી આપી હતી.
ધર્મેન્દ્રના દીકરાઓ સની દેઓલ અને બોબી દેઓલ બંનેએ હરિદ્વારના શ્રવણનાથનગરમાં પીલીભીત હાઉસના ઘાટ પર જઈને અસ્થિ-વિસર્જન માટેની જે વિધિઓ હતી તે પતાવી હતી. પંડિતોએ ધાર્મિક વિધિ કરીને ગંગામાં અસ્થિને વિસર્જિત કરાવ્યા હતાં. પીલીભીત હાઉસ ગંગાના કિનારે આવેલ સો વર્ષ કરતાં પણ જૂની હવેલી છે. અહીં જ દેઓલ પરિવાર શાંતિથી ધરમપાજીનાં અસ્થિ પધરાવી શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ હતી. અંતિમસંસ્કારની જેમ જ અસ્થિ-વિસર્જનનો (Dharmendra Ashes) પ્રસંગ પણ શાંતિથી પાર પાડવામાં આવ્યો હતો. દેઓલ પરિવારની પહેલેથી જ એવી ઈચ્છા હતી કે આ વિધિઓ પ્રાઇવેટ જ રહે અને શોરબકોર વગર સંપન્ન થાય. એ જ કારણોસર મીડિયાને પણ કોઈ પૂર્વ માહિતી આપવામાં આવી ન હતી કે ન તો ઘાટની આસપાસ કડક સુરક્ષાનો બંદોબસ્ત કરાયો હતો. જોકે, અસ્થિ-વિસર્જન (Dharmendra Ashes) બાદ પરિવાર હોટલથી સીધો જ એરપોર્ટ માટે રવાના થયો હતો.
ધર્મેન્દ્રએ ૮૯ વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લીધી. તેઓ છેલ્લા અમુક સમયથી શારીરિક સમસ્યાઓથી પીડાતા હતા. અચાનક એક દિવસ તેઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમને ભરતી કરવામાં આવ્યા હતા. જોકે, એ દરમિયાન પણ પરિવારે બિલકુલ હોહા કે શોરબકોર કર્યો નહોતો અને મીડિયાને પણ પૂરતી પ્રાઈવસી જાળવી રાખવા જણાવ્યું હતું. ધર્મેન્દ્રનાં (Dharmendra Ashes) પત્ની હેમા માલિનીએ પણ તાજતેરમાં જ શોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. હેમાજી અને પરિવાર ધર્મેન્દ્રના અંતિમ સમયે તેમના છેલ્લા દિવસોમાં તેમની સાથે જ હતા. જોકે, ધર્મેન્દ્રની અંતિમવિધિ વગેરે પણ પરિવાર દ્વારા પ્રાઈવેટ જ રાખવામાં આવી હતી કારણ કે સોશિયલ મીડિયા પર પાયાવિહોણા અને જુદા જુદા ખોટા અને ભ્રામક અફવાઓથી ઓલરેડી પરિવાર ખૂબ જ દુઃખી હતો. એટલું જ નહીં સની દેઓલે તો પરિવારની પ્રાઈવસીનું સન્માન ન કરવા બદલ અને આવા સમયે તેમના પરિવારને હેરાન કરી મૂકવા બદલ મીડિયાની આકરી ટીકા સુદ્ધા કરી હતી. ધર્મેન્દ્રના અંતિમસંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા હતા જેમાં અમિતાભ બચ્ચન સહિતના બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સે હાજરી આપી હતી.