ધુરંધર : ધ રિવેન્જની નજર ઉતારવા માટે થોડું લાલ મરચું નહીં ચાલે... આખું ખેતર જ સળગાવવું પડશે

10 April, 2026 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંદીપ રેડ્ડી વાંગાએ પોતાના રિવ્યુમાં ફિલ્મને પ્રૉપગૅન્ડા ગણાવનારા લોકોની આકરી ટીકા કરી

સંદીપ રેડ્ડી વાંગા સાથે પ્રભાસે પણ જોઈ ફિલ્મ

ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ને એક તરફ જબરદસ્ત સફળતા મળી રહી છે અને એ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ટોચના સ્થાન સુધી પહોંચી ગઈ છે, પરંતુ બીજી તરફ કેટલાક લોકો એને પ્રૉપગૅન્ડા ગણાવીને ટીકા પણ કરી રહ્યા છે. હવે આ મુદ્દે ‘ઍનિમલ’ના સુપરહિટ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે.

‘ધુરંધર : ધ રિવેન્જ’ જોયા પછી સંદીપ રેડ્ડી વાંગાએ સોશ્યલ મીડિયા પર પોતાનો અભિપ્રાય શૅર કરીને લખ્યું છે કે ‘જે લોકો પહેલાં પ્રૉપગૅન્ડા આધારિત કન્ટેન્ટ બનાવીને પોતાની કરીઅર બનાવતા હતા ત્યારે ઇન્ડસ્ટ્રી શાંત રહી હતી. હવે એ જ લોકો ‘ધુરંધર’ની મજાક ઉડાવી રહ્યા છે. જો કોઈની પ્રથમ પ્રતિક્રિયા મજાક ઉડાવવાની હોય તો તેઓ પોતાને લિબરલ કહી શકતા નથી. આજકાલ સત્યને પણ પ્રૉપગૅન્ડા કહેવામાં આવે છે, જે એક વિચિત્ર સમય દર્શાવે છે.’

આ પછી સંદીપ રેડ્ડી વાંગાએ આગળ આદિત્ય ધર અને રણવીર સિંહને સંબોધતાં કહ્યું, ‘હું આદિત્ય ધર અને રણવીર સિંહને કહેવા માગું છું કે ફિલ્મને લાગેલી કાળી નજર આ રીતે નહીં જાય. આમાં નજર ઉતારવા થોડું લાલ મરચું ફેરવવાથી કામ નહીં ચાલે... આખું ખેતર જ સળગાવવું પડશે. ગઈ કાલે રાત્રે ‘ધુરંધર : ધ રિવેન્જ’ જોઈ... અદ્ભુત ફિલ્મ.’

સંદીપ રેડ્ડી વાંગા સાથે પ્રભાસે પણ જોઈ ફિલ્મ

પ્રભાસ અને ફિલ્મ ‘ઍનિમલ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા તાજેતરમાં આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ જોવા માટે હૈદરાબાદના એક થિયેટરમાં પહોંચ્યા હતા અને અહીંથી તેમની તસવીરો પ્રકાશમાં આવી છે. પ્રભાસ અને સંદીપ રેડ્ડી વાંગા હાલમાં ‘સ્પિરિટ’માં સાથે કામ કરી રહ્યા છે ત્યારે તેમને સાથે જોઈને ફૅન્સ ખુશ થઈ ગયા છે.

dhurandhar sandeep reddy vanga prabhas aditya dhar entertainment news bollywood bollywood news