21 February, 2026 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંઈક કામ કર, નહીંતર લગ્ન કરાવી દઈશ
ટીવી-ક્વીન તરીકે જાણીતી એકતા કપૂરે પોતાની લગભગ ૩૦ વર્ષની કરીઅરમાં અનેક હિટ સિરિયલ્સ પ્રોડ્યુસ કરી છે. એકતાએ હાલમાં એક પૉડકાસ્ટમાં પોતાની પ્રોફેશનલ લાઇફની સાથોસાથ પર્સનલ લાઇફની પણ ચર્ચા કરી છે તેમ જ તેણે અને ભાઈ તુષાર કપૂરે લગ્ન કેમ નથી કર્યાં એ વાતનો ખુલાસો કર્યો છે.
આ પૉડકાસ્ટમાં એકતા કપૂરે જણાવ્યું હતું કે ‘હું જ્યારે ૧૮ કે ૧૯ વર્ષની હતી ત્યારે મારા પપ્પા જિતેન્દ્રએ મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કંઈક કામ કર, નહીંતર હું તારાં લગ્ન કરાવી દઈશ. એ સમયે મેં લગ્નથી બચવા માટે કામમાં ઝંપલાવ્યું. એ સમયે હું મારી જિંદગી ખુલ્લેઆમ માણી રહી હતી. મારા મનમાં ફક્ત એટલું જ હતું કે મારે કામ કરવું છે અને કોઈ પણ સંબંધ કે બંધનમાં બંધાવું નથી.’
એકતા અને તેના ભાઈ તુષારે લગ્ન નથી કર્યાં, પણ સરોગસીથી એક-એક દીકરાનાં મમ્મી-પપ્પા બની ગયાં છે. પોતાના આ નિર્ણય વિશે વાત કરતાં એકતાએ કહ્યું હતું કે ‘અમે બન્ને ભાઈ-બહેન કામમાં એટલાં વ્યસ્ત થઈ ગયાં હતાં કે લગ્નનો વિચાર જ મનમાં નહોતો આવ્યો. અમારી એક વખત આ મામલે પપ્પા જિતેન્દ્ર સાથે ખુલ્લી ચર્ચા થઈ હતી ત્યારે તેમણે કહ્યું કે તમારા બન્નેમાંથી કોઈ એક તો લગ્ન કરો જેથી અમે તમારાં બાળકોને રમાડી શકીએ. એ પછી મેં અને તુષારે લગ્ન કર્યા વગર જ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) અને સરોગસીની મદદથી મમ્મી-પપ્પા બનવાનું નક્કી કર્યું. પહેલાં તુષાર દીકરા લક્ષ્ય કપૂરનો પપ્પા બન્યો. તેનો અનુભવ જોઈને હું ત્રણ વર્ષ પછી દીકરા રવિ કપૂરની મમ્મી બની. મેં મારા દીકરાનું નામ પિતા જિતેન્દ્રના રિયલ નામ પરથી રાખ્યું છે.’