01 August, 2026 02:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૯૮૭માં ટીવી-સિરિયલ રામાયણ બનાવવા પાછળ થયો હતો આશરે ૭ કરોડનો ખર્ચ
ભારતીય સિનેમામાં અત્યાર સુધી ‘રામાયણ’ પર અનેક ફિલ્મો અને ટેલિવિઝન શો બની ચૂક્યાં છે. જોકે સૌથી વધુ લોકપ્રિયતા ડિરેક્ટર અને નિર્માતા રામાનંદ સાગરની ‘રામાયણ’ને મળી હતી. હવે રણબીર કપૂરની ‘રામાયણ’ પર આધારિત ફિલ્મ આવી રહી છે જે આ વર્ષે દિવાળી વખતે રિલીઝ થશે. આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવી રહી છે અને રિપોર્ટ મુજબ એના નિર્માણ પાછળ લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
હાલમાં જ્યારે ‘રામાયણ’ ફિલ્મના આટલા મોટા બજેટની ચર્ચા થઈ રહી છે ત્યારે માહિતી મળી છે કે ૧૯૮૭માં ‘રામાયણ’ સિરિયલના ૭૮ એપિસોડ બનાવવા પાછળ આશરે ૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. રામાનંદ સાગરની ‘રામાયણ’નું પ્રસારણ ૧૯૮૭માં શરૂ થયું હતું અને એનો પ્રથમ એપિસોડ પચીસ જાન્યુઆરીએ દૂરદર્શન પર પ્રસારિત થયો હતો. રામાનંદ સાગરની ‘રામાયણ’ના એક એપિસોડના નિર્માણ પાછળ અંદાજે ૯ લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો અને એ રીતે જોઈએ તો આ સિરિયલના ૭૮ એપિસોડ બનાવવા માટે કુલ મળીને આશરે ૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું માનવામાં આવે છે.