27 June, 2026 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચિન્મય માંડલેકર
દિગ્દર્શક ચિન્મય માંડલેકરે `ગવર્નર: ધ સાઇલન્ટ સેવિયર’માં અભિનેતા મનોજ બાજપેયી સાથે બીજી વખત કામ કર્યું છે. સત્ય ઘટના પરથી પ્રેરિત આ ફિલ્મ હાલમાં સિનેમાઘરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે. તાજેતરમાં ચિન્મય માંડલેકરે જણાવ્યું કે આ ફિલ્મ કેવી રીતે બની અને કઈ બાબતે તેમને તેનું દિગ્દર્શન કરવા માટે પ્રેરિત કર્યા. તેમણે કહ્યું, "ગવર્નર: ધ સાઇલન્ટ સેવિયર બનાવવાનો મૂળ વિચાર 1990ના આર્થિક સંકટ સાથે જોડાયેલો હતો. આ વાર્તાનો વિચાર અમારા એક લેખક પાસે હતો અને તેમણે તે વિપુલ શાહ સુધી પહોંચાડ્યો. ત્યારબાદ લગભગ ચાર વર્ષ સુધી તેની પટકથા પર કામ કરવામાં આવ્યું. વર્ષ 2025માં આ ફિલ્મ મારી પાસે આવી. તે સમયે તેની પટકથા પહેલેથી જ ખૂબ જ સારી રીતે લખાઈ ચૂકી હતી. ત્યારબાદ અમે તેમાં બે-ત્રણ વખત વધુ ફેરફારો કર્યા અને આ રીતે આ ફિલ્મ તૈયાર થઈ."
ફિલ્મ પસંદ કરવાનું કારણ જણાવતાં તેમણે કહ્યું, "આર્થિક સંકટ પર આધારિત વાર્તા કહેવાનો વિચાર મને ખૂબ જ રસપ્રદ લાગ્યો. સામાન્ય રીતે આપણે યુદ્ધ, કુદરતી આપત્તિ, મહામારી, રમખાણો અથવા સામાજિક ઘટનાઓ પર આધારિત ફિલ્મો જોઈએ છીએ, પરંતુ અર્થવ્યવસ્થા પર ફિલ્મો ખૂબ ઓછી છે. આ જ વાતે મને સૌથી વધુ આકર્ષ્યો અને મેં આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો નિર્ણય લીધો." આ ફિલ્મને દર્શકો અને સમીક્ષકો તરફથી સતત સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ઉત્તમ સમીક્ષાઓ અને દર્શકોની પ્રશંસાએ ફરી એકવાર ચિન્મય માંડલેકર અને મનોજ બાજપેયીની જોડીને સફળ દિગ્દર્શક-અભિનેતા જોડી તરીકે સ્થાપિત કરી છે. બંને પોતાની ફિલ્મો દ્વારા માત્ર હોબાળો મચાવવાના બદલે દમદાર સિનેમા અને અસરકારક વાર્તાઓ પર વિશ્વાસ રાખે છે.
મનોજ બાજપેયી હાલમાં પોતાની નવી ફિલ્મ ‘ગવર્નર’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત મનોજે તેની પર્સનલ લાઇફ વિશે એક રસપ્રદ ખુલાસો કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક કૉન્ક્લેવમાં હાજરી આપતી વખતે મનોજે જણાવ્યું કે તે પોતાના ઘરમાં ક્યારેય ઍર-કન્ડિશનર (AC) નથી ચલાવતો. પોતાના આ વર્તન પાછળનું કારણ જણાવતાં મનોજે કહ્યું હતું કે ‘હું મારા ઘરમાં AC ચલાવતો નથી. હું જ્યાં રહું છું ત્યાં AC ચાલતું નથી. મારી પત્ની મજાકમાં કહે છે કે હું પૈસા બચાવું છું પણ હકીકતમાં એવું નથી. મને ACમાં બહુ ઠંડી લાગે છે. હું જ્યારે કોઈ હોટેલમાં રોકાઉં છું ત્યારે પણ મારા રૂમનું AC બંધ કરાવી દઉં છું. હું AC વગર જ રહું છું. ઘણી જગ્યાએ પંખો પણ લગાવવામાં આવતો નથી, એટલે પછી AC વગર જ રહેવું પડે છે.’