01 June, 2020 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
નરગિસ દત્ત એ સમયની અભિનેત્રી છે જ્યારે હિન્દી સિનેમાના સિમાડા વિસ્તરી રહ્યા હતા. અભિનેત્રીએ 28 વર્ષની ઉંમરે જ 'મધર ઈન્ડિયા' ફિલ્મમાં વૃદ્ધ માતાની ભૂમિકા ભજવી હતી અને તેમની પ્રશંસાનો ડંકો આખી દુનિયામાં વાગવા લાગ્યો હતો. આ ફિલ્મને 1958માં ઑસ્કરમાં પણ નોમિનેટ કરવામાં આવી હતી. ફિલ્મોમાં નરગિસે અનેક કલાકારો સાથે કામ કર્યું છે પરંતુ તેમની અને રાજ કપૂરની જોડી લોકોમાં પ્રિય હતી. નરગિસ અને રાજ કપૂરે 16 ફિલ્મો સાથે કરી હતી અને નવ વર્ષ સુધી આ જોડી હિટ રહી હતી. આજે નરગિસના જન્મદિવસે જાણીએ અભિનેત્રીની રાજ કપૂર સાથેની લવ સ્ટોરી.
રાજ કપૂર 'શો મેન' તરીકે ફિલ્મ ઉદ્યોગમાં ઝળહળતું નામ હતું અને નરગિસ તે સમયનાં સૌથી લોકપ્રિય અભેનત્રી. તે સમયે બન્નેના પ્રેમ પ્રકરણની ચર્ચાઓ ચારેકોર હતી. લોકોને એમ જ લાગતું જ બન્ને જણ લગ્ન કરીને ઘર વસાવશે. પરંતુ તેમનો પ્રેમ લગ્નમાં ન પરિણમ્યો કારણકે રાજ કપૂર પહેલેથી જ પરણિત હતા અને તે કંઇ પોતાના લગ્ન ભાંગવા તૈયાર નહોતા. પછી નરગિસ અને રાજ કપૂરનાં સંબંધનો અંત ત્યારે આવ્યો જ્યારે 'મધર ઇન્ડિયા'ના સેટ પર થયેલા એક એક્સિડન્ટમાં સુનિલ દત્તે નરગીસનો જીવ બચાવ્યો અને અંતે તેઓ પરણી ગયાં.
રાજ કપૂરના પહેલેથી જ પરણિત હતાં છતા તે નરગીસને છોડવા નહોતા માગતા. આમને આમ સમય પસાર થતો ગયો અને નવ વર્ષ પછી નરગિસને લાગવા લાગ્યું કે રાજ તેની તરફ ધ્યાન નથી આપતા. તેમજ રાજ કપૂર ન તો પત્ની ક્રિષ્ના સાથે ડિવોર્સ લઈ શક્યા કે ન તો પિતા પૃથ્વીરાજ કપૂર સામે તેમા પ્રેમ વિષે કંઈ બોલી શક્યા. એટલે નરગિસે આ સંબંધ પર પુર્ણવિરામ મુકવાનું નક્કી કરી લીધું.
મધુ જૈને તેમના પુસ્તક 'ફર્સ્ટ ફેમિલી ઓફ ઈન્ડિયન સિનેમા - ધ કપૂર્સ'માં લખ્યું છે કે, જ્યારે રાજ કપૂરને ખબર પડી કે નરગિસે સુનીલ દત્ત સાથે લગ્ન કરી લીધાં છે ત્યારે તેઓ પોતાના મિત્રો સામે ધ્રુસકે ધ્રુસકે રડયાં હતા. રાજ અને નરગિસની પહેલી મુલાકાત રાજના લગ્નના ચાર મહિના બાદ થઈ હતી. બન્નેના ધર્મ પણ અલગ અલગ હતા. નરગિસે પોતાનું દિલ અને આત્મા તો રાજને આપી જ દીધા હતા. સાથે સાથે રાજ કપૂરની ફિલ્મોમાં પૈસા પણ રોકવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે આરકે સ્ટૂડિયો આર્થિક મુશ્કેલીમાં હતો ત્યારે નરગિસે તેના સોનાના કડાં સુધ્ધા વેચી દીધા હતા.
એવું કહેવાય છે કે, નરગિસના લગ્નના સમાચાર સાંભળીને રાજ કપૂર પોતાને સિગરેટથી બાળતા એ જોવા માટે કે ક્યાંક આ સપનું તો નથી ને. નરગિસના જીવનચરિત્રકાર ટીજેએસ જોર્જએ લખ્યું છે કે, નરગિસના લગ્ન પછી જ રાજ કપૂરે ચિક્કાર દારૂ પીવાની શરૂઆત કરી હતી. રાજ કપૂરને હંમેશા એમ જ લાગતું કે નરગિસે તેમની સાથે વિશ્વાસધાત કર્યો છે. 1986માં એક ઈન્ટરવ્યૂમાં રાજ કપૂરે કહ્યું હતું કે, મધર ઈન્ડિયા સાઈન કરી નરગિસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. જ્યારે નરગિસનું નિધન થયું ત્યારે અંતિમ સંસ્કારમાં રાજ કપૂર સૌથી પાછળ સામાન્ય લોકો સાથે ચાલી રહ્યાં હતા.