હૃદયનાથ મંગેશકર અને સલીમ ખાનની મહારાષ્ટ્ર સરકારના લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ માટે પસંદગી

31 July, 2026 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃદયનાથ મંગેશકર અને સલીમ ખાનની મહારાષ્ટ્ર સરકારના લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ માટે પસંદગી, રાની મુખરજી અને ઍક્ટર-ડિરેક્ટર પ્રસાદ ઓકને પણ વિશેષ સન્માન આપવાની જાહેરાત

હૃદયનાથ મંગેશકર અને સલીમ ખાન

મહારાષ્ટ્ર સરકારે ૨૦૨૫ના પ્રતિષ્ઠિત ચિત્રપતિ વી. શાંતારામ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ માટે સંગીતકાર પંડિત હૃદયનાથ મંગેશકરની પસંદગી કરી છે જ્યારે જાણીતા પટકથાકાર સલીમ ખાનને સ્વર્ગસ્થ રાજ કપૂર લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત ઍક્ટર-ડિરેક્ટર પ્રસાદ ઓક અને રાની મુખરજીને પણ વિશેષ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે. પ્રસાદ ઓકને ચિત્રપતિ વી. શાંતારામ વિશેષ યોગદાન અવૉર્ડ આપવામાં આવશે જ્યારે રાનીને સ્વર્ગસ્થ રાજ કપૂર વિશેષ યોગદાન અવૉર્ડ એનાયત કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકાર દર વર્ષે મરાઠી અને હિન્દી ફિલ્મઉદ્યોગમાં અભિનય, સંગીત, નિર્માણ અને નિર્દેશન સહિતના વિવિધ ક્ષેત્રોમાં લાંબા સમય સુધી નોંધપાત્ર અને સતત યોગદાન આપનાર હસ્તીઓને આ પ્રતિષ્ઠિત અવૉર્ડ્‍સ એનાયત કરે છે. આ અવૉર્ડ્‍સની જાહેરાત મહારાષ્ટ્રના સાંસ્કૃતિક કાર્ય પ્રધાન આશિષ શેલારે કરી હતી. આ પછી સાંસ્કૃતિક કાર્ય વિભાગે સત્તાવાર સરકારી પરિપત્ર જાહેર કરીને આ સન્માનોની પુષ્ટિ કરી હતી.

salim khan rani mukerji maharashtra government entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood