06 November, 2025 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Govinda and Sunita
ગોવિંદાની પત્ની સુનીતાએ હાલમાં એક પૉડકાસ્ટમાં ગોવિંદાની આદત વિશે કમેન્ટ કરતાં કહ્યું હતું કે ‘ગોવિંદાનો પણ એક પંડિત છે. તે પૂજા કરાવે છે અને બે લાખ રૂપિયા લઈ લે છે. હું ગોવિંદાને કહું છું કે તું જાતે પૂજા કર, કારણ કે પંડિતે કરાવેલા પૂજાપાઠથી કંઈ ફાયદો નહીં થાય.’
હવે ગોવિંદાએ તેની પત્ની સુનીતા દ્વારા તેમના પારિવારિક પૂજારી વિશે કરવામાં આવેલી કમેન્ટ બદલ માફી માગી છે. ગોવિંદાએ એક વિડિયો રિલીઝ કરીને કહ્યું છે કે ‘આદરણીય પંડિત મુકેશ શુક્લાજી એક ઉચ્ચ લાયકાત ધરાવતા પ્રામાણિક અને અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિ છે. તેમનો સમાવેશ યજ્ઞવિધિ અને પ્રથાની ઊંડી સમજ ધરાવતી ઉત્તર પ્રદેશની ગણતરીની વ્યક્તિઓમાં થાય છે. અમારો પરિવાર ઘણાં વર્ષોથી તેમના પિતા આદરણીય જટાધારીજી સાથે સંકળાયેલો છે. મારી પત્નીએ તેમના વિશે કેટલાક અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો એના માટે હું માફી માગું છું અને એનું ખંડન કરું છું. પંડિત મુકેશજી અને તેમનો પરિવાર મુશ્કેલ સમયમાં મારી સાથે રહ્યા છે. હું તેમનો ખૂબ આદર કરું છું.’