મારી નાખવાની ધમકી આપનારા સામે કંગનાએ FIR નોંધાવી ,જાણો સમગ્ર મામલો

01 December, 2021 02:14 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રી કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી સમગ્ર કથા જણાવી છે, આ સાથે જ તેણીએ એફઆઈઆરની કોપી પણ શેર કરી છે.

કંગના રનૌત

બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે મનાલીમાં એક શખ્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે, જેણે કંગનાને મારી નાખવાની ધમકી આપી હતી. કંગનાએ ગત દિવસોમાં ખેડૂતોને આતંકવાદી કહ્યાં હતા, જેનાથી રોષે ભરાયેલા લોકો તેણીને ધમકી આપી રહ્યાં છે. ત્યારે કંગનાએ તેઓની વિરુદ્ધ FIR નોંધાવી છે. 

કંગનાએ તેના ફેન્સને આ વિશે જાણ કરવા માટે FIR કોપીની એક તસવીર શેર કરી છે. આ સાથે કંગનાએ લખ્યું, `મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના શહીદોને યાદ કરીને મેં લખ્યું હતું કે દેશદ્રોહીઓને ક્યારેય માફ કરશો નહીં કે ભૂલશો નહીં. આ પ્રકારની ઘટનામાં દેશના આંતરિક ગદ્દારોનો હાથ છે. દેશદ્રોહીઓએ ક્યારેય પૈસાના લોભમાં તો ક્યારેક પદ અને સત્તાના લોભમાં ભારત માતાને કલંકિત કરવાની એક પણ તક છોડી નથી અને દેશની અંદરના ગદ્દારો કાવતરાં કરીને રાષ્ટ્રવિરોધી શક્તિઓને મદદ કરતા રહ્યા છે. મને વિઘટનકારી શક્તિઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. મારી આ પોસ્ટ પર ભટિંડાના એક ભાઈએ ખુલ્લેઆમ મને મારી નાખવાની ધમકી આપી છે. હું આ પ્રકારની ધમકીઓથી ડરતી નથી."

આ ઉપરાંત કંગનાએ આગળ લખ્યું છે કે દેશ વિરુદ્ધ ષડ્યંત્ર કરનાર અને આતંકીઓ વિરુદ્ધ બોલું છું અને હંમેશા બોલતી રહીશ. તેમજ કંગનાએ દેશ વિરોધીએ અને દેશમાં અશાંતિ ફેલાવનારા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ અપીલ કરી છે. સાથે જ તેણીએ કહ્યું કે તેને આશા છે કે પંજાબ સરકાર જલદી આ અંગે કડક કાર્યવાહી કરશે. 

નોંધનીય છે કે આ પહેલી વાર નથી કે કંગનાએ પંગો લેનારા સામે કાયદાકીય કાર્યવાહી કરી હોય. આ પહેલા પણ અભિનેત્રી કેટલાય લોકો સામે કાનુની કાર્યવાહી કરી FIR નોંધાવી ચુકી છે. 

kangana ranaut entertainment news bollywood news