07 May, 2026 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૨ જૂને રિલીઝ થશે કંગના રનૌતની ભારત ભાગ્ય વિધાતા
ઍક્ટ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સંસદસભ્ય કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ ૧૨ જૂને થિયેટરોમાં રિલીઝ થશે. જોકે બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મ માટે રસ્તો સરળ નહીં હોય, કારણ કે એ જ દિવસે બીજી ત્રણ ફિલ્મો પણ રિલીઝ થઈ રહી છે. ૧૨ જૂને ‘ભારત ભાગ્ય વિધાતા’ સિવાય મનોજ બાજપેયીની ‘ગવર્નર’, દિલજિત દોસાંઝની ‘મૈં વાપસ આઉંગા’ તેમ જ મિમોહ ચક્રવર્તીની ‘હૉન્ટેડ ૩ડી: એકોઝ ઑફ ધ પાસ્ટ’ પણ રિલીઝ થશે.
‘ભારત ભાગ્ય વિધાતા’નું નિર્માણ કંગના રનૌતની મણિકર્ણિકા ફિલ્મ્સના બૅનર હેઠળ થયું છે. ગઈ કાલે મેકર્સે સોશ્યલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું અને લખ્યું કે ‘આ સામાન્ય લોકોની અસાધારણ વાર્તા છે. એવી રાતની વાર્તા જ્યારે માનવતા ડર કરતાં મોટી બની, જવાબદારી બલિદાન બની, એકતા ફરજ બની અને હિંમતે અનેક જિંદગીઓ બચાવી. આ ભારતના અસલી હીરોની વણકહી વાર્તા છે.’
શું છે ફિલ્મની વાર્તા?
‘ભારત ભાગ્ય વિધાતા’ની વાર્તા ૨૦૦૮માં થયેલા મુંબઈ આતંકી હુમલા દરમ્યાનની છે. એ સમયે આતંકીઓએ કામા હૉસ્પિટલમાં ગોળીબાર કર્યો હતો અને ઘણા સુરક્ષા-કર્મચારીઓની હત્યા કરી હતી. ગોળીબારનો અવાજ સાંભળીને હૉસ્પિટલ સ્ટાફે દરવાજા બંધ કરી દીધા હતા. આવી ગંભીર પરિસ્થિતિમાં ડૉક્ટરો, નર્સો અને સ્ટાફે કેવી રીતે હિંમત બતાવી અને પરિસ્થિતિને સંભાળી એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે.