02 June, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શર્મિષ્ઠા પનૌલી અને કંગના રનૌત (તસવીર: X)
ઑપરેશન સિંદૂર બાદ ૨૨ વર્ષીની લૉની વિદ્યાર્થિની શર્મિષ્ઠા પનૌલીની એક સોશિયલ મીડિયા પોસ્ટ કરવા બદલ ગુરુગ્રામથી ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડને લઈને હવે અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતનો ટેકો મળ્યો છે. કંગનાએ શર્મિષ્ઠાની ધરપકડ પર સવાલ ઉઠાવતા પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર પણ નિશાન સાધ્યું છે.
કંગનાએ શું કહ્યું?
શર્મિષ્ઠા પનૌલીની ધરપકડ પર અભિનેત્રી કંગના રનૌતે કહ્યું, `કાયદો અને વ્યવસ્થાના નામે કોઈને હેરાન કરવું યોગ્ય નથી. જ્યારે કોઈ માફી માગે છે અને પોસ્ટ ડિલીટ કરે છે, તેમ છતાં તેને જેલમાં ધકેલી દેવી, હેરાન કરવી, તેની કારકિર્દીનો અંત લાવવો અને તેના પાત્ર પર સવાલ ઉઠાવવા ખૂબ જ ખોટું છે. કોઈ પણ દીકરી સાથે આવું ન થવું જોઈએ.`
કંગનાએ કહ્યું- `હું પશ્ચિમ બંગાળ સરકારને વિનંતી કરું છું કે રાજ્યને ઉત્તર કોરિયા બનાવવાનો પ્રયાસ ન કરે. દરેકને લોકશાહી અધિકાર છે. તેણે પોતાની અભદ્ર ટિપ્પણી બદલ માફી માગી છે. શર્મિષ્ઠાએ તેના વીડિયોમાં કેટલાક અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો છે, પરંતુ આજકાલ મોટાભાગના યુવાનો આવા શબ્દોનો ઉપયોગ કરે છે. તેને જલદીથી મુક્ત કરવી જોઈએ કારણ કે તે ખૂબ જ નાની છોકરી છે. તેની આગળ આખી કારકિર્દી અને જીવન છે.`
અભિનેત્રી અને નાયબ મુખ્ય પ્રધાનનું સમર્થન મળ્યું
અભિનેત્રી ઉપરાંત, અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણ શર્મિષ્ઠા પાનોલીનો બચાવ કરવા માટે આગળ આવ્યા છે. તેમણે શર્મિષ્ઠાની ધરપકડ પર ટીએમસી પર નિશાન સાધ્યું. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, `લૉની વિદ્યાર્થિની શર્મિષ્ઠાએ ઑપરેશન સિંદૂર પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. કેટલાક લોકોને તેમના શબ્દો વાંધાજનક લાગ્યા, જે અંગે તેણે માફી માગી અને વીડિયો ડિલીટ કર્યો છે, તેમ છતાં બંગાળ પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે. પવન કલ્યાણે કહ્યું, `જ્યારે આપણા ધર્મને ગંધ ધર્મ કહેવામાં આવે છે, તો પછી તેની ધરપકડ કેમ ન કરવામાં આવી?
આખો વિવાદ શું છે?
શર્મિષ્ઠા પાનોલી, જેના ઇન્સ્ટાગ્રામ પર 1.75 લાખ ફોલોઅર્સ છે, તેની એક વીડિયો બનાવવાને કારણે ધરપકડ કરવામાં આવી હતી. આ વીડિયોમાં, તેણે કેટલાક બૉલિવૂડ સ્ટાર્સની ટીકા કરી હતી, અને પૂછ્યું હતું કે તેઓ ઑપરેશન સિંદૂર પર કેમ ચૂપ છે? એવો આરોપ છે કે તેણે વીડિયોમાં એક સમુદાય વિરુદ્ધ વાંધાજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.
શર્મિષ્ઠા 14 દિવસથી ન્યાયિક કસ્ટડીમાં
જોકે શર્મિષ્ઠાએ વીડિયો ડિલીટ કર્યા પછી બિનશરતી માફી માગી હતી, તેમ છતાં કોલકાતામાં તેના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે શર્મિષ્ઠાએ મીડિયાને કહ્યું, `લોકશાહીમાં જે રીતે આ જુલમ થઈ રહ્યો છે, તે લોકશાહી નથી.`