05 December, 2021 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
કંગના રનોટે મથુરા જઈને કાનાનાં દર્શન કર્યાં હતાં અને સાથે જ કાનુડાના હીંચકાને પણ ઝુલાવ્યો હતો. તેણે ગ્રીન ડ્રેસ પહેર્યો હતો. મથુરા પહોંચી એ અગાઉ તેની કાર જ્યારે પંજાબ પહોંચી ત્યારે તેને વિરોધના વંટોળનો સામનો કરવો પડ્યો હતો. તેણે ખેડૂતો અને સિખ સમાજને લઈને કરેલાં નિવેદનોને જોતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ત્યાર બાદ પોલીસની મદદથી તે સહીસલામત ત્યાંથી નીકળી શકી હતી. તે વૃંદાવનમાં બાંકે બિહારીના મંદિર ગઈ હતી. ત્યાંથી તે મથુરા કૃષ્ણ જન્મભૂમિનાં દર્શને ગઈ હતી. આ વિશે કંગનાએ કૅપ્શન આપી હતી, ‘મથુરામાં પાવન કૃષ્ણ જન્મભૂમિનાં દર્શન કર્યાં. ભારે સલામતી-વ્યવસ્થા સાથે આ ખૂબ સંવેદનશીલ સ્થળ છે અને ત્યાં ફોટો લેવાની પણ પરવાનગી નથી, કારણ કે આ પવિત્ર સ્થાનનું વાતાવરણ પણ રામજન્મભૂમિ જેવું છે. માતા દેવકી અને શ્રી વાસુદેવજીને જે જેલમાં રાખવામાં આવ્યાં હતાં એના થોડા ભાગમાં જ લોકોને જવાની અનુમતિ છે. ૬ અન્ડરગ્રાઉન્ડ જેલની રૂમનો ઉલ્લેખ આપણાં શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે, પરંતુ એમાં જવાની પરવાનગી નથી. આશા છે કે યોગી આદિત્યનાથ જલદીથી આખા વિસ્તારમાં લોકો હરીફરી શકે એવી વ્યવસ્થા ઊભી કરશે. અહીં ભારે સશસ્ત્ર સેના અને સીમા જેવા સખત કાયદા જોઈને તકલીફ થઈ. આ કંઈ ભારતની સીમા નથી, આ તો કૃષ્ણ જન્મભૂમિ છે. જયશ્રી કૃષ્ણ. ગોકુળ જઈ રહી છું. યમુના નદી પાર કરીને વાસુદેવ ભગવાન બાળકૃષ્ણને પોતાના માથે ઊંચકીને વરસતા વરસાદમાં નદી પાર કરી હતી એ જ આ જગ્યા છે. આ સ્થળની સુંદરતાને શબ્દોમાં નથી ઢાળી શકતી.’
ગોકુળમાં કાનાનાં દર્શનનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘ગોકુળ, આ એ જ જગ્યા છે જ્યાં વાસુદેવે બાળગોપાલને નંદબાબાને હવાલે કર્યા હતા. આ ખૂબ અદ્ભુત અનુભવ રહ્યો હતો. પૂજારીએ કહ્યું કે અહીં તમારા કૃષ્ણના નહીં, પરંતુ યશોદાના નંદલાલ, તેના બાળકને મળી શકો છો. અવાજ નહીં કરવાનું અને બેસી જવાનું મને કહેવામાં આવ્યું હતું. તેમણે મને એક બાળકને જે રીતે જુએ એ રીતે બાળગોપાલ તરફ જોઈને સ્માઇલ આપવાનું મને કહ્યું હતું. જો આમ કરવામાં ન આવે તો બળગોપાલ રડવાનું શરૂ કરી દેશે. તેમણે મને સફેદ માખણ અને મિશરી આપી હતી. મેં હળવેકથી બાળ કૃષ્ણનો ઝૂલો ઝુલાવ્યો હતો અને સ્માઇલ આપી હતી. આ અહીંની એક ધાર્મિક ક્રિયા છે.’