22 October, 2021 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર
કરણ જોહરનું કહેવું છે કે ફિલ્મ ફ્રેટર્નિટીમાં સેન્સ ઑફ હ્યુમર નથી. સાથે જ તેણે જણાવ્યું હતું કે એ લોકોનો વિરોધ કરવાનું બંધ કરીને હવે ફિલ્મમેકિંગ પર પૂરતું ધ્યાન આપી રહ્યો છે. તેના દિમાગમાં અનેક વાતો ફર્યા કરે છે. જોકે એને વ્યક્ત કરવાનું તે યોગ્ય નથી માનતો. તે ચિંતા અને આવનાર મુસીબતોને કારણે પોતે જ પોતાની જાતને સેન્સર કરી રહ્યો છે. એ વિશે કરણે કહ્યું કે ‘મારા શોના માધ્યમથી હું ઘણું બધું કહેવા માગું છું, પરંતુ મને બંધન લાગે છે. મારું માનવું છે કે હું ક્યારેક કોઈનો વિરોધ કરીશ તો તે નારાજ થઈ જશે. જોકે હું એવું કરવા પણ નથી માગતો, કારણ કે મેં હવે એવું કરવાનું બંધ કરી દીધું છે. હું જે કહેવા માગું છું એ કહેવાથી પણ પોતાને અટકાવું છું. આ જ સૌથી વધુ દુઃખની બાબત છે. હું જાણું છું કે હું કોઈ પણ મજાક સહન કરી શકું છું, પરંતુ અન્ય લોકો એ સહન નહીં કરે. ફિલ્મ ફ્રેટર્નિટી સેન્સિટિવ છે અને એમાં સેન્સ ઑફ હ્યુમર નથી.’