11 September, 2026 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર
કરીના કપૂર હાલમાં ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થનારી પોતાની ફિલ્મ ‘દાયરા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આવા જ પ્રમોશનમાં કરીનાએ બૉલીવુડની માનસિકતાને ઘેટાંવૃત્તિ જેવી ગણાવી હતી અને રણબીર કપૂરની ફિલ્મ ‘ઍનિમલ’ની સફળતાનું ઉદાહરણ આપીને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પર કટાક્ષ કર્યો હતો.
આ મામલે પોતાનો મત રજૂ કરતાં કરીનાએ કહ્યું હતું કે ‘હવે દર્શકો પહેલાં કરતાં વધારે સમજદાર થઈ ગયા છે અને તેઓ માત્ર ફિલ્મના સ્ટાર્સ જોઈને ફિલ્મ જોવાનો નિર્ણય લેતા નથી. તેમને ખબર છે કે સારી ફિલ્મ કઈ છે. આ બધી બાબતો બહુ જૂની થઈ ગઈ છે કે અત્યારે હિંસા ચાલી રહી છે તો એવી ફિલ્મ બનાવો. ‘ઍનિમલ’ હિટ થઈ તો બધા હિંસા કરવા લાગ્યા. બૉલીવુડમાં ઘેટાંવૃત્તિ છે, શું કહીએ? જોકે એવા ફિલ્મમેકર્સ પણ છે જેઓ કંઈક અલગ કરવા માગે છે અને જેમનું પોતાનું ફૅન-ફૉલોઇંગ છે. મને લાગે છે કે હવે વસ્તુઓ બદલાઈ રહી છે. દર્શકો હવે ટ્રેલર જોઈને કહેશે કે અમારે આ ફિલ્મ જોવી છે. દરેક ફિલ્મ ૨૦૦ કરોડ કે ૫૦૦ કરોડ રૂપિયા કમાવા માટે નથી હોતી. મને લાગે છે કે અમે આમાં બદલાવ લાવી રહ્યા છીએ અને દર્શકો એમાં અમારી મદદ કરી રહ્યા છે.’