04 September, 2026 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર
કરીના કપૂરે ટીનેજમાં ફિલ્મોમાં પ્રવેશ કરવા માટે ભણવાનું છોડી દીધું હતું. વર્ષો બાદ હવે તેણે સ્વીકાર્યું છે કે શિક્ષણ પૂર્ણ ન કરી શકવાનો અફસોસ આજે પણ તેના મનમાં છે. કરીનાનું કહેવું છે કે આ જ કારણે ભારતમાં દીકરીઓના શિક્ષણ માટે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ ઇમર્જન્સી ફંડ (UNICEF)યુનિસેફ દ્વારા કરાઈ રહેલું કામ તેના દિલની ખૂબ નજીક છે. કરીના ૨૦૧૪થી યુનિસેફ ઇન્ડિયા સાથે સંકળાયેલી છે. તે દીકરીઓના શિક્ષણ, લિંગ-સમાનતા અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ માટે સતત જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે
પોતાના અભ્યાસ વિશે વાત કરતાં કરીનાએ કહ્યું હતું કે ‘મેં ફિલ્મોમાં કામ કરવા માટે અગિયારમા ધોરણ પછી મારું ભણતર અધૂરું મૂકી દીધું હતું અને મને આ વાતનો આજે પણ અફસોસ થાય છે. મારી પાસે તક હતી, પણ હું ફિલ્મોમાં આવી ગઈ અને પછી ભણી શકી નહીં. લોકો આ વાતની મજાક કરે કે કંઈ પણ કહે, પણ હું ઍક્ટ્રેસ તરીકે પોતાને સાબિત કરવા માગતી હતી. મેં મારા દિલની વાત સાંભળી હતી. જોકે શિક્ષણ એવી બાબત છે જે પૂર્ણ ન કરી શકવાનો મને અફસોસ છે. આ કારણે જ મેં મારા દીકરાઓને કહ્યું છે કે પહેલાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરો અને પછી તમારા દિલની વાત અનુસરો. આ સંજોગોમાં જ્યારે યુનિસેફે મને ભારતમાં યુવાન દીકરીઓના શિક્ષણ માટે જોડાવાનું કહ્યું ત્યારે હું આ મુદ્દા સાથે ખૂબ જ ભાવનાત્મક રીતે જોડાઈ ગઈ, કારણ કે મને હંમેશાં લાગતું રહ્યું કે હું મારું પોતાનું શિક્ષણ પૂર્ણ કરી શકી નહોતી.’