19 February, 2026 09:25 PM IST | Mumbai | Hetvi Karia
આમિર દલવી
‘Kennedy’ની OTT રિલીઝને લઈને અભિનેતા આમિર દલવી ખૂબ ઉત્સાહિત છે. ફિલ્મનું શૂટિંગ લગભગ ત્રણ વર્ષ પહેલાં પૂર્ણ થયું હતું અને હવે આખરે તે દર્શકો સુધી પહોંચવા જઈ રહી છે. OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાને કારણે ફિલ્મ હવે વિશાળ દર્શકવર્ગ સુધી પહોંચશે, જેને લઈને આમિર આશાવાદી છે.
આમિરનું માનવું છે કે OTT પ્લેટફોર્મ્સના આગમન પછી ફિલ્મો જોવાની રીતમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. દરેક માટે થિયેટર સુધી જઈને ફિલ્મ જોવી શક્ય ન હોય, ત્યારે OTT એક રીતે આશીર્વાદરૂપ સાબિત થાય છે, જે ફિલ્મોને સીધા દર્શકોના ઘર સુધી લઈ આવે છે.
‘Kennedy’ આમિર માટે માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તેમના અભિનય સફરમાં એક મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે. આ તેમની બૉલિવૂડ ડેબ્યુ ફિલ્મ છે અને તે તેમના માટે ખૂબ જ વ્યક્તિગત અને ખાસ ક્ષણ છે. ટેલિવિઝનથી ફિલ્મોમાં ટ્રાન્ઝિશન કરવું દરેક અભિનેતાનું સ્વપ્ન હોય છે, તેમ છતાં આમિર કહે છે કે આ તક કોઈ ખાસ આયોજનનો ભાગ નહોતી, પરંતુ કુદરતી રીતે મળી હતી.
ફિલ્મમાં આમિર દલવી સલીમ નામના મુખ્ય વિરોધી પાત્રમાં જોવા મળશે. આ પાત્ર ભજવતા સમયે તેમને સૌથી વધુ પડકારજનક સીન એક ટેલિફોનિક વાતચીતનો લાગ્યો, જેમાં તેમનું પાત્ર અને કેનેડી એકબીજાના વિરોધમાં હોવા છતાં કેટલીક ભાવનાત્મક બાબતો પર જોડાય છે.
આમિર જણાવે છે કે આ સીન દ્વારા તેમને સમજાયું કે ઘણી વખત સાચું કે ખોટું એટલું મહત્ત્વનું નથી હોતું, પરંતુ દરેક વ્યક્તિ પોતાની પરિસ્થિતિ અનુસાર નિર્ણય લે છે. ક્યારેક ગ્રે શેડવાળા પાત્રોમાં પણ પરિવાર અને લાગણીઓ સાથેનો તેમનો સંબંધ જીવંત રહે છે. ઇન્ટેન્સ પાત્ર ભજવ્યા બાદ તેમાંથી બહાર આવવું ક્યારેક મુશ્કેલ બની જાય છે, પરંતુ આમિર તેને તેમના વ્યવસાયનો જ એક ભાગ માને છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું ખલનાયકનું પાત્ર ભજવવું હીરો કરતાં વધુ મુશ્કેલ છે, ત્યારે આમિર માને છે કે તે સંપૂર્ણપણે લેખન અને દિગ્દર્શકના દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે. જો કે, વિરોધી પાત્રો લાગણીઓ વ્યક્ત કરવા માટે વધુ ક્રિએટિવ સ્પેસ આપે છે, જે અભિનેતા માટે સર્જનાત્મક રીતે રસપ્રદ હોઈ શકે છે.
ફિલ્મના દિગ્દર્શક અનુરાગ કશ્યપ સાથે કામ કરવાનો અનુભવ આમિર માટે શરૂઆતમાં થોડો મુશ્કેલ રહ્યો હતો. અનુરાગ કશ્યપ એક્ટર્સ સાથે સ્ક્રિપ્ટ પહેલેથી શૅર કરતા નથી અને તેઓ સેટ પર જ અભિનેતાઓને માર્ગદર્શન અને ઇન્સ્ટ્રક્શન્સ આપવાનું પસંદ કરે છે, જેના કારણે શરૂઆતમાં આમિર થોડા ગૂંચવાયેલા હતા. પરંતુ, ઇમ્પ્રોવાઇઝેશન દ્વારા તેમને કશ્યપ પાસેથી તરત જ મળતા પ્રતિસાદથી પોતાનો પરફોર્મન્સ વધુ સારી રીતે સમજવામાં અને વધુ સારો પરફોર્મન્સ આપવામાં મદદ મળી. શૂટિંગ દરમિયાન બનેલી એક ખાસ ઘટના યાદ કરતાં આમિર કહે છે કે તેમના પહેલા જ શોટ બાદ અનુરાગ કશ્યપે ખુશ થઈને તેમને ફ્લાઈંગ કિસ આપી હતી. આ મોમેન્ટ આમિર માટે હંમેશા યાદગાર રહેશે.
‘Kennedy’ના Cannes ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થવાથી ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે. આમિર માટે આ કોઈ પ્રેશરનું કારણ નહીં, પરંતુ તેમના અભિનય જીવનમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે, જેને તેઓ હંમેશા સાથે રાખશે.
આગામી સમયમાં, અભિનેતાએ વિવિધ શૈલીઓમાં ભૂમિકાઓ ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે ભાર મૂક્યો કે તેમનું ધ્યાન કોઈ ચોક્કસ જૉનર (Genre) સુધી મર્યાદિત રહેવાને બદલે તેમના દ્વારા ભજવવામાં આવેલા પાત્રોમાં અર્થપૂર્ણ યોગદાન આપવા પર રહે છે.
કેનેડી હવે ZEE5 પર પ્રસારિત થવાની તૈયારીમાં છે, તેથી આમિર આશા રાખે છે કે દર્શકો ફિલ્મનું સ્લો-બર્નિંગ નરેટિવ, પાત્રોની ઊંડાઈ અને સ્ટોરીટેલિંગ સાથે જોડાય શકે.