26 June, 2026 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિઆરા અડવાણી
ફિલ્મમેકર સિદ્ધાર્થ પી. મલ્હોત્રાની ફિલ્મ ‘કમાલ ઔર મીના’ની જાહેરાત ૨૦૨૪માં કરવામાં આવી હતી. ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની હતી, પણ હજુ સુધી એનું શૂટિંગ શરૂ થયું નથી. આ ફિલ્મ ફિલ્મમેકર કમાલ અમરોહી અને અભિનેત્રી મીના કુમારીના જીવન અને લવસ્ટોરી પર આધારિત છે. ફિલ્મના કાસ્ટિંગને લઈને અગાઉ એવો રિપોર્ટ હતો કે નિર્માતાઓ ફિલ્મમાં લીડ રોલ માટે કિઆરા અડવાણીને પસંદ કરવાની વિચારણા કરી રહ્યા છે પણ હવે લેટેસ્ટ અપડેટ પ્રમાણે હાલમાં કિઆરા અડવાણીનું મીના કુમારી બનવાનું કન્ફર્મ નથી.
‘કમાલ ઔર મીના’ની અત્યારની સ્થિતિ વિશે વાત કરતાં સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી બધું ફાઇનલ ન થાય ત્યાં સુધી કંઈ ફાઇનલ માનવામાં આવતું નથી. આ જ રીતે આ બિઝનેસ ચાલે છે. માત્ર કલાકાર જ નહીં પણ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ પણ મહત્ત્વપૂર્ણ પરિબળ હોય છે. મારી પાસે કમાલ અમરોહી અને મીના કુમારીનાં પોતાનાં હસ્તલિખિત પ્રેમપત્રો અને ડાયરીઓ ઉપલબ્ધ છે અને આ ફિલ્મ બન્નેના અંદાજે બે હજાર પત્રો અને ડાયરીની નોંધો પર આધારિત છે. અમે સ્ક્રિપ્ટનું કામ પૂર્ણ કરી લીધું છે અને હાલમાં કાસ્ટિંગ પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે વર્ષના અંત સુધીમાં પ્રોજેક્ટ ફ્લોર પર જશે.’