‘સારાભાઈ vs સારાભાઈ’ ફેમ અને બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે નિધન

25 October, 2025 09:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સતીશ શાહના મૅનેજરે આ સમાચારની પુષ્ટિ કરતા ઉમેર્યું કે તેમનું શરીર હૉસ્પિટલમાં છે અને રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, સતીશ શાહ ફિલ્મો અને ટેલિવિઝન બન્નેમાં તેમની યાદગાર ભૂમિકાઓ દ્વારા ઘર-ઘરમાં જાણીતું નામ થયું

દિગ્ગજ અભિનેતા સતિશ શાહનું નિધન

ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં લોકપ્રિય સિરિયલ `સારાભાઈ વર્સિસ સારાભાઈ` આ સાથે `જાને ભી દો યારો` અને `મૈં હૂં ના` જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકાઓ માટે પ્રખ્યાત દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું (Satish Shah Passed Away) નિધનના દુઃખદ સમાચાર મળી રહ્યા છે. ૭૪ વર્ષીય અભિનેતા કિડની સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા અને તાજેતરમાં જ તેમનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. સતીશ શાહના મૅનેજરે આ સમાચારની પુષ્ટિ કરતા ઉમેર્યું કે તેમનું શરીર હૉસ્પિટલમાં છે અને રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, સતીશ શાહ ફિલ્મો અને ટેલિવિઝન બન્નેમાં તેમની યાદગાર ભૂમિકાઓ દ્વારા ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયા હતા. ૧૯૮૩ ની કૉમેડી ફિલ્મ `જાને ભી દો યારો`માં તેમના અભિનય માટે તેમને કલ્ટનો દરજ્જો મળ્યો, જ્યાં તેમણે અજોડ સુંદરતા સાથે અનેક પાત્રો ભજવ્યા હતા. શાહના અંગત સહાયક રમેશ કડાટલાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે અભિનેતાનું બપોરે બાન્દ્રા પૂર્વમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું.

સતીશ શાહની ફિલ્મો વિશે

અભિનેતા સતીશ શાહની ફિલ્મોગ્રાફીમાં `હમ સાથ-સાથ હૈ`, `મૈં હૂં ના`, `કલ હો ના હો`, `કભી હાં કભી ના`, `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે` અને `ઓમ શાંતિ ઓમ` જેવી લોકપ્રિય અને સુપર હિટ ફિલ્મોનો પણ સમાવેશ થાય છે, જે વિવિધ શૈલીઓમાં તેમની વૈવિધ્યતા દર્શાવી છે. ટેલિવિઝન પર, `સારાભાઈ વર્સિસ સારાભાઈ` માં (Sarabhai vs Sarabhai Actor Passed Away) શાહ દ્વારા ઇન્દ્રવદન સારાભાઈનું પાત્ર ભારતીય ટીવી ઇતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત કૉમિક ભૂમિકાઓમાંનું એક છે. તેમણે 1984 ના પ્રિય સિટકોમ `યે જો હૈ ઝિંદગી` માં પણ અભિનય કર્યો હતો, જે તે સમયનો એક નિર્ણાયક શો બન્યો છે. "એવું લાગે છે કે તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું છે, જોકે અમે તેમના મૃત્યુ પાછળના કારણ અંગે ડૉક્ટરના અંતિમ અહેવાલોની રાહ જોઈ રહ્યા છીએ," કડાટલાએ જણાવ્યું. તાજેતરમાં, તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું," સૂત્રોએ જણાવ્યું હતું.

અશોક પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરી આપી માહિતી

ભારતીય ફિલ્મ મેકર અશોક પંડિતે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરીને માહિતી આપી હતી. તેમણે પોસ્ટને કૅપ્શન આપ્યું “દુઃખ અને આઘાત સાથે જણાવું છું કે અમારા પ્રિય મિત્ર અને મહાન અભિનેતા સતીશ શાહનું થોડા કલાકો પહેલા કિડની ફેલ્યરને કારણે અવસાન થયું છે. તેમને તાત્કાલિક હિન્દુજા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.” દિગ્ગજ અભિનતાના અવસાન પર તેમના ચાહકો હવે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે પણ શાહના નિધન પર શોક વ્યક્ત કર્યો. "પ્રતિભાશાળી અભિનેતા સતીશ શાહ સરના નિધન વિશે સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે. મોટા પડદા અને ટેલિવિઝન પર, તેમણે તેમની વિવિધ ભૂમિકાઓ અને ઉત્કૃષ્ટ અભિનયથી આપણું મનોરંજન કર્યું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી સંવેદના," ભંડારકરે કહ્યું. શાહ છેલ્લે 2014 માં આવેલી ફિલ્મ, `હમશકલ્સ`માં મોટા પડદા પર જોવા મળ્યા હતા.

તેમનું પાર્થિવ શરીર ૨૬ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી તેમના ઘરે "ગુરુકુળ - ૧૪ કલાનગર, બાંદ્રા (પૂર્વ) માતોશ્રી પાસે રહેશે. તેમના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનભૂમિ એસ.વી.રોડ (વિલે પાર્લે (પશ્ચિમ) મુંબઈ ખાતે બપોરે ૧૨ વાગ્યે કરવામાં આવશે.

satish shah celebrity death ashoke pandit bollywood buzz bollywood bollywood gossips bollywood news entertainment news