29 March, 2026 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામનવમીના અવસરે માધુરી દીક્ષિતે પતિ શ્રીરામ નેને સાથે લીધી વારાણસીની મુલાકાત
માધુરી દીક્ષિત હાલમાં રામનવમીના અવસર પર પતિ ડૉ. શ્રીરામ નેને સાથે વારાણસી પહોંચી હતી અને અહીં શહેરની ધાર્મિક પરંપરાઓ અને સુંદરતાનો આનંદ માણ્યો હતો. રિપોર્ટ પ્રમાણે તેઓ અહીં એક જ્વેલરી શોરૂમના ઉદ્ઘાટન માટે આવ્યાં હતાં. વારાણસીમાં ગુરુવારે માધુરી વહેલી સવારે મંગળા આરતીમાં સામેલ થઈ અને કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજાઅર્ચના કરી ગંગાકિનારે પહોંચી હતી. અહીં તેણે નમો ઘાટથી અલકનંદા ક્રૂઝની સફર કરી અને ગંગાકિનારાનું સૌંદર્ય માણ્યું હતું. એ પછી માધુરી અને ડૉ. શ્રીરામ નેને ગંગા આરતીમાં સામેલ થયાં હતાં. આ સમયે તેમણે દીપદાન પણ કર્યું અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે પૂજામાં ભાગ લીધો. માધુરી અને ડૉ. શ્રીરામ નેને આ મુલાકાત દરમ્યાન કુલ્હડમાં ચા પીતાં અને હાથમાં દીવો પકડીને જોવા મળ્યાં હતાં. આ સિવાય તેમણે બનારસી ભોજનનો સ્વાદ માણ્યો જેના કારણે તેમનો આ દિવસ યાદગાર બની ગયો.