09 April, 2026 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુનનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા ભેગા થયેલા ફૅન્સને કાબૂમાં કરવા લાઠીચાર્જ
ગઈ કાલે અલ્લુ અર્જુને પોતાની ૪૪મી વર્ષગાંઠ ઊજવી હતી. આ સેલિબ્રેશન માટે મંગળવાર રાતથી જ તેના ચાહકો મોટી સંખ્યામાં તેના ઘરની બહાર ભેગા થઈ ગયા હતા. ચાહકોમાં ભારે ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો, પરંતુ ભીડ એટલી વધી ગઈ કે સ્થિતિ થોડા સમય માટે બેકાબૂ બની ગઈ. આ સમયે સુરક્ષા-કર્મચારીઓએ ભીડને સંભાળવાનો પ્રયત્ન કર્યો, બૅરિકેડ્સ લગાવ્યાં અને લોકોને અંતર જાળવવા અપીલ કરી. આવી સ્થિતિમાં પોલીસને હળવો બળપ્રયોગ કરીને લાઠીચાર્જ દ્વારા ભીડને પાછળ ધકેલવી પડી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
આ સંજોગોમાં ચાહકોની દીવાનગી જોઈને થોડી વાર માટે અલ્લુ અર્જુન પણ બહાર આવ્યો. તે પોતાના ઘરની બહાર આવીને ચાહકોને મળ્યો અને હાથ જોડીને તેમનો આભાર વ્યક્ત કર્યો અને ફૅન્સનું અભિવાદન કર્યું.