16 June, 2021 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રીદેવી, મિથુન ચક્રવતી (ફાઈલ તસવીરો)
બૉલિવૂડના ‘ડિસ્કો ડાન્સર’ તરીકે જાણીએ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)નો આજે ૭૧મો જન્મદિવસ છે. અભિનેતા તેમના પ્રેમ પ્રકરણ અને અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હતા. ઈન્ડસ્ટ્રીની અનેક અભિનેત્રીઓ સાથે મિથુન ચક્રવર્તીનું નામ જોડાયું હતું. તેમાં સૌથી વધુ ચર્ચાયેલું પ્રકરણ હોય તો સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવી (Sridevi) સાથેનું. બન્નેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા પણ એક સમયે થતી હતી. આજે મિથુન ચક્રવર્તીના જન્મદિવસે અમે તમને આ લગ્ન વિશે જણાવીશું.
મિથુન ચક્રવર્તીનું સાચુ નામ ગૌરાંગ ચક્રવર્તી છે. ફિલ્મોમાં આવતા પહેલા તેઓ નક્સલવાદી હતા. પરંતુ એક દુર્ઘટનામાં ભાઈના મૃત્યુ બાદ મિથુન દા નક્સલવાદી આંદોલનમાંથી હટી ગયા અને પછી વર્ષ ૧૯૭૬માં ફિલ્મોમાં એન્ટ્રી કરી. તેમની પ્રથમ ફિલ્મ ‘મૃગયા’ માટે તેમનું રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. ફિલ્મ કારર્કિદી તો સારી રહી પરંતુ આ દરમિયાન અંગત જીવનને કારણે હંમેશા ચર્ચામાં રહેતા. ફિલ્મોમાં આવ્યા પછી મિથુન દાનું નામ કૉસ્ટાર રંજીતા, યોગિતા બાલી, સારિકા અને અન્ય અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. શ્રીદેવી સાથે પણ તેમનું નામ જોડાયું હતું અને તેની સાથે તેમણે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું.
મિથુન દાના લગ્ન વર્ષ ૧૯૭૯માં યોગિતા બાલી સાથે થયા હતા. લગ્ન બાદ વર્ષ ૧૯૪માં તેમણે શ્રીદેવી સાથે પહેલીવાર ફિલ્મ ‘જાગ ઉઠા ઈન્સાન’માં કામ કર્યું. ફિલ્મના શુટિંગ દરમિયાન બન્નેના અફેરની ખબર હેડલાઇન્સ હતી. શ્રીદેવી માટે મિથુને પત્ની યોગીતાને દગો આપ્યો હોવાનું પણ કહેવાય છે. મિથુન અને શ્રીદેવીએ કોઈને પણ કીધા વગર ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા અને આ લગ્ન ત્રણ વર્ષ સુધી રહ્યાં હોવાનું કહેવાય છે. જોકે, બન્નેમાંથી કોઈએ પણ લગ્નની વાતને સ્વીકારી નહોતી અને આ વીશે કોઈ નક્કર પુરાવા નહોતા.
મિથુન અને શ્રીદેવીએ લગ્ન કરી લીધા હોવાના સમાચાર જ્યારે યોગિતા બાલીને મળ્યા ત્યારે તેમણે આત્મહત્યા કરી હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું. પરંતુ યોગિતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મિથુનને હું તેની બીજી પત્ની સાથે પણ સ્વીકારવા માટે તૈયાર છું. જોકે, મિથુન અને શ્રીદેવીના સંબંધો લાંબા સમય સુધી ટક્યા નહોતા. બન્ને વચ્ચે અણબનાવ હોવાની વાતો પણ જલ્દી ફેલાવા લાગી હતી.
જ્યારે શ્રીદેવીને લાગ્યું કે, મિથુન ચક્રવર્તી પહેલી પત્ની યોગિતા બાલીને ડિવોર્સ નહીં આપે તો અભિનેત્રીએ તેમને છોડવાનો નિર્ણય કરી લીધો હતો. વર્ષ ૧૯૮૮માં શ્રીદેવી અને મિથુન પરસ્પર સંમતિ દ્વારા અલગ થઈ ગયા. યોગિતાએ જ્યારે ત્રીજા બાળક નમાશીને જન્મ આપ્યો ત્યારે મિથુનની લાઈફમાં બધુ નોર્મલ થવા લાગ્યું અને બીજી બાજુ શ્રીદેવી-બૉની કપૂરના અફેરની ચર્ચાઓ થવા લાગી.