15 June, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૌની રૉય
મૌની રૉય છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. પતિ સૂરજ નામ્બિયારથી અલગ થવાની જાહેરાત બાદ તેની રિલેશનશિપ અને વ્યક્તિગત જીવન અંગે અનેક પ્રકારની અટકળો સોશ્યલ મીડિયા પર જોવા મળી હતી. કેટલાક લોકો મૌની અને તેની મિત્ર દિશા પાટની સજાતીય સંબંધો ધરાવે છે એવી ચર્ચા પણ કરતા હતા. હવે મૌનીએ આ અફવાઓ પર ખુલ્લેઆમ વાત કરી છે અને પોતાના વિશે ફેલાયેલી સૌથી વિચિત્ર અફવાનો પણ ખુલાસો કર્યો છે. મૌનીએ કહ્યું હતું કે તેના વિશે સાંભળેલી સૌથી વિચિત્ર અફવા એ હતી કે તે સજાતીય સંબંધ ધરાવે છે.
મૌનીએ પોતાના અંગત જીવનના મુશ્કેલ સમય વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘સૂરજ નામ્બિયારથી અલગ થયા બાદ મને પરિવાર અને મિત્રોનો ભરપૂર સાથ મળ્યો હતો. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું કારણ કે મારા જીવનમાં એવા મિત્રો અને પરિવારજનો છે જેઓ દરેક પરિસ્થિતિમાં મારી સાથે મજબૂત રીતે ઊભા રહ્યા છે. મારી મહિલા મિત્રોએ જીવનના સારા, ખરાબ અને સૌથી મુશ્કેલ તબક્કાઓમાં પણ મને ક્યારેય એકલી પડવા નથી દીધી. જીવનમાં એવી મહિલાઓ હોવી ખૂબ મહત્ત્વપૂર્ણ છે જે તમને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે અને હંમેશાં ઉત્સાહિત રાખે. આવા મિત્રો જીવનની સૌથી મોટી તાકાતોમાંથી એક છે.’
મૌની અને સૂરજે એકબીજાને લગભગ ૪ વર્ષ સુધી ડેટ કર્યા બાદ વર્ષ ૨૦૨૨માં લગ્ન કર્યાં હતાં. જોકે આ વર્ષે બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.