19 June, 2026 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝીનત અમાન
એક જમાનાની જાણીતી અભિનેત્રી ઝીનત અમાને પ્રથમ વખત પોતાના હિન્દુ નામનો ખુલાસો કર્યો છે. ઝીનત અમાન હવે ભલે અભિનયમાં ઓછી જોવા મળતી હોય, પરંતુ સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય છે. હાલમાં એક કાર્યક્રમ દરમ્યાન ઝીનતે પોતાનું હિન્દુ નામ જણાવીને કહ્યું કે ‘ઝીનત અમાન’ નામ તેને પિતાની તરફથી મળ્યું છે.
પોતાના પારિવારિક બૅકગ્રાઉન્ડ વિશે વાત કરતાં ઝીનતે કહ્યું હતું કે ‘મારા પપ્પા તરફથી મારું નામ ઝીનત અમાન છે પણ મારી મમ્મીની તરફથી મારું નામ લલિતેશ્વરી છે. મારી મમ્મીનું નામ વર્ધિની સિંધિયા હતું. તે ખૂબ જ ધાર્મિક હિન્દુ મહિલા હતી અને દરરોજ બે-ત્રણ કલાક પૂજા-પાઠમાં પસાર કરતી હતી. મારા ઉછેરનો મોટો ભાગ પણ તેની દેખરેખમાં જ થયો હતો.’
ધર્મ વિશેના પોતાના વિચારો જણાવતાં ઝીનતે કહ્યું હતું કે ‘હું ધાર્મિક નથી કારણ કે મેં વિવિધ બાબતોને ખૂબ નજીકથી જોઈ છે. મારી મમ્મી હિન્દુ હતી, મારા પપ્પા મુસ્લિમ હતા અને મારાં બાળકોના પિતા પણ મુસ્લિમ છે. મેં કૅથલિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને મારા સાવકા પિતા જર્મન હતા. આ કારણે મને ખૂબ જ વૈશ્વિક જીવનશૈલીનો અનુભવ મળ્યો છે. આ જ કારણ છે કે મને ક્યારેય કોઈ એક ખાસ ધર્મને અનુસરવાની જરૂરિયાત અનુભવાઈ નથી. બધા ધર્મો સારા છે. કોઈ પણ ધર્મ ખોટાં કામ કરવાનું નથી કહેતો. હું માનવતા, દયા, શાંતિ, સમાનતા તેમ જ લોકો અને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમમાં વિશ્વાસ રાખું છું. એ જ મારો ધર્મ છે.’