22 February, 2026 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર અને કરિશ્મા કપૂર
રાજ કપૂરે ૧૯૪૮માં આર.કે. સ્ટુડિયોઝની સ્થાપના કરી હતી. આ બૅનર હેઠળ અનેક હિટ અને સુપરહિટ ફિલ્મો બની હતી. ૧૯૯૯માં આવેલી અને રિશી કપૂરે ડિરેક્ટ કરેલી ‘આ અબ લૌટ ચલેં’ આ બૅનરની છેલ્લી ફિલ્મ હતી. હવે રણબીર કપૂરે આ વારસાને આગળ વધારવી તૈયારી શરૂ કરી દીધી છે.
થોડા સમય પહેલાં ચેમ્બુર વિસ્તારમાં આવેલો જૂનો આર. કે. સ્ટુડિયોઝ પરિવાર દ્વારા સહમતીથી આશરે ૧૮૦ કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવ્યો હતો. હવે રિપોર્ટ પ્રમાણે રણબીર અને કપૂર પરિવારના અન્ય સભ્યોએ મુંબઈના અંધેરી વિસ્તારમાં પાંચ માળની ઇમારત ૨૦ વર્ષની લીઝ પર લીધી છે અને આ જગ્યાએ ફરીથી આધુનિક સુવિધાઓ સાથે સ્ટુડિયો ઊભો કરવામાં આવશે. એમાં આર્ટ સ્ટુડિયો, મેકઅપ રૂમ, સ્ક્રીનિંગ રૂમ, મંદિર તેમ જ મ્યુઝિક અને એડિટિંગ માટે ખાસ ફ્લોર બનાવાશે. આ વખતે સમગ્ર પરિવાર મળીને એનું સંચાલન કરશે.
આ નવા સેટઅપમાં નીતુ કપૂર, કરિશ્મા કપૂર, રણધીર કપૂર અને નતાશા નંદા માટે અલગ-અલગ કૅબિન બનાવાશે. સંચાલનની મુખ્ય જવાબદારી રણબીર અને કરિશ્મા સંભાળશે. સ્ટુડિયોની ડિઝાઇન એવી રીતે કરવામાં આવશે કે અહીં એકસાથે ત્રણ ફિલ્મોનું શૂટિંગ થઈ શકે અને એક ફ્લોર સંપૂર્ણ રીતે પોસ્ટ-પ્રોડક્શન માટે ઉપયોગમાં લેવામાં આવશે.