09 February, 2026 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`ઓ રોમિયો`નું પોસ્ટર
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ‘ઓ રોમિયો’ની રિલીઝ રોકવા માટે બૉમ્બે સિટી સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી પણ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી ફિલ્મનો થિયેટરમાં રિલીઝ આગળનો અવરોધ દૂર થઈ ગયો છે. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ હુસેન ઝૈદીની પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ પર આધારિત છે જેમાં શાહિદ કપૂરે માફિયા ડૉન હુસેન ઉસ્તરાનું પાત્ર ભજવ્યું છે, જ્યારે તૃપ્તિ ડિમરી સપનાદીદીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૧૩ ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે.
આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની અરજી ગૅન્ગસ્ટર હુસેન ઉસ્તરાની દીકરી દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેનો આરોપ હતો કે ફિલ્મમાં તેમના પિતાની ખાનગી જિંદગી અને પ્રતિષ્ઠાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જોકે કોર્ટે આ દાવાને ફગાવતાં અનેક મહત્ત્વની બાબતો સ્પષ્ટ કરી હતી. કોર્ટે જણાવ્યું કે ખાનગીપણાનો અધિકાર વ્યક્તિગત હોય છે અને કોઈ વ્યક્તિના અવસાન બાદ આ અધિકાર સમાપ્ત થઈ જાય છે. પરિવારજનો આ અધિકાર વારસામાં મેળવી શકતા નથી અને ન તો એનો ઉપયોગ કોઈ ફિલ્મ અથવા કલાત્મક કૃતિને રોકવા માટે કરી શકાય છે.
કોર્ટે ફિલ્મને સંપૂર્ણ રીતે કલ્પિત ગણાવી છે. ફિલ્મમાં સ્પષ્ટ ડિસ્ક્લેમર આપવામાં આવ્યું છે કે તમામ પાત્રો કલ્પિત છે અને કોઈ વાસ્તવિક વ્યક્તિ સાથેની સમાનતા માત્ર સંયોગ છે. કોર્ટે આ પણ નોંધ્યું કે ફિલ્મની જાહેરાત ૨૦૨૪માં કરવામાં આવી હતી, જ્યારે અરજી છેલ્લી ઘડીએ રિલીઝના થોડા દિવસો પહેલાં દાખલ કરવામાં આવી. આવી સ્થિતિમાં ફિલ્મને રોકવાથી નિર્માતાઓ, કલાકારો અને અન્ય જોડાયેલા લોકોને ભારે આર્થિક નુકસાન પહોંચે એમ છે.
કોર્ટે આગળ જણાવ્યું કે અરજીકર્તાએ પોતે જ નાણાકીય વળતરની માગણી કરી હતી એટલે કે તેમનું કહેવાતું નુકસાન આર્થિક રીતે પૂરું કરી શકાય એમ છે. આથી ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ મજબૂત આધાર બનતો નથી.