25 April, 2024 06:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણનીતિ : બાલાકોટ & બિયૉન્ડ’નું પોસ્ટર
જિમી શેરગિલ, લારા દત્તા, આશુતોષ રાણા અને આશિષ વિદ્યાર્થીની ‘રણનીતિ : બાલાકોટ & બિયૉન્ડ’ આજે જિયો સિનેમા પર રિલીઝ થઈ રહી છે. નવ એપિસોડની આ સિરીઝમાં દરેક એપિસોડ ૩૦થી ૪૫ મિનિટની આસપાસના છે. ૨૦૧૯માં થયેલા પુલવામા અટૅક બાદ કરવામાં આવેલી બાલાકોટ ઍરસ્ટ્રાઇક પર આ સિરીઝ બનાવવામાં આવી છે. ઍર ફોર્સના વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાન દ્વારા બંદી બનાવી લેવામાં આવ્યો હતો એ દૃશ્યને પણ આ શોમાં દેખાડવામાં આવશે. ઍરસ્ટ્રાઇક કેમ કરવામાં આવી હતી અને કેવી રીતે કરવામાં આવી હતી, એની પાછળ કોનું દિમાગ હતું વગેરે આ શોમાં દેખાડવામાં આવ્યું છે. રિયલ લાઇફ ઘટના પરથી પ્રેરિત થઈને એક ફિક્શન શો તૈયાર કરવામાં આવ્યો છે. આ શોમાં ફક્ત બૉર્ડર પર જ લડાઈ કરવામાં આવે છે એ જ નહીં; પરંતુ મીડિયા, સોશ્યલ મીડિયા અને ન્યુઝ એટલે કે ડિજિટલ વર્લ્ડમાં કેવી રીતે લડવામાં આવે છે એ પણ દેખાડવામાં આવ્યું છે. આ અટૅક દ્વારા ભારતે પાકિસ્તાનને એકદમ સ્ટ્રૉન્ગ મેસેજ મોકલ્યો હતો કે હવે તેઓ ચૂપ નહીં બેસે. આ વેબ-શોનું શૂટિંગ રિયલ લોકેશન પર કરવામાં આવ્યું છે. એમાં મિલિટરી બેઝ, ઍરબેઝ, જેલની સાથે સર્બિયાની પાર્લમેન્ટમાં પણ શૂટિંગ કરવામાં આવ્યું છે. ક્લાઇમૅમેક્સમાં ઇન્ડિયા અને પાકિસ્તાન ડિબેટ કરતાં જોવા મળે છે અને એ દૃશ્યને ફિલ્માવવા માટે સર્બિયાની પાર્લમેન્ટમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું.