04 September, 2026 01:06 PM IST | peris | Gujarati Mid-day Correspondent
પાકીઝા
ભારતીય સિનેમાની ઐતિહાસિક ક્લાસિક ફિલ્મ ‘પાકીઝા’ હવે 4K રિસ્ટોરેશન બાદ ફરી એક વખત મોટા પડદે દર્શકો સામે રજૂ થવા જઈ રહી છે. કમાલ અમરોહીની ૧૯૭૨માં રિલીઝ થયેલી આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર ફ્રાન્સના લુમિયેર ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. આ પછી ફિલ્મનું ગાલા સ્ક્રીનિંગ બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટના સહયોગથી યોજાઈ રહેલા BFI લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાશે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને અમરોહી પરિવારના સહયોગથી ‘પાકીઝા’નું રિસ્ટોરેશન કર્યું છે. રિપોર્ટ પ્રમાણે ૨૦૨૪માં તપાસ દરમ્યાન ખબર પડી હતી કે ફિલ્મની મૂળ કૅમેરા નેગેટિવ લગભગ પીગળી ગઈ હોવાના કારણે ઉપયોગને લાયક નહોતી રહી. આ સિવાય ફિલ્મની અન્ય પ્રિન્ટ્સ પણ સારી સ્થિતિમાં નહોતી અને રંગો ફિક્કા પડી ગયા હતા, અનેક જગ્યાએ સ્ક્રૅચિસ હતા અને ફૂગ લાગી ગઈ હતી. લગભગ બે વર્ષની મહેનત બાદ આ તમામ ખામીઓ દૂર કરવામાં આવી અને ફિલ્મના ઑડિયોને પણ ૫.૧ સરાઉન્ડ સાઉન્ડમાં રિસ્ટોર કરવામાં આવ્યો છે.